અમદાવાદ: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલને જામીન મળશે કે પછી તેમનો જેલવાસ વધુ લંબાશે તેનો ફેંસલો આજે થશે. ગુજરાત હાઇકોર્ટમાં જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. ગત સુનાવણીમાં હાઇકોર્ટે તમામ પક્ષોને સાંભળીને ચુકાદો અનામત રાખ્યો હતો.
આરોપી જયસુખ પટેલે તેમને નિયમિત જામીન આપવા માટે કોર્ટ સમક્ષ વિનંતી કરી છે, તો બીજી તરફ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના સ્વજનોએ જયસુખ પટેલને જામીન આપવા સામે વિરોધ કર્યો છે, ત્યારે હાઇકોર્ટ આજે શું ચુકાદો આપે છે તેના પર સૌ કોઇની નજર છે.
જયસુખ પટેલે હાઇકોર્ટ સમક્ષ જામીન આપવા માટે વિનંતી કરતા કહ્યું હતું કે, યોગ્ય શરત પર તેમને નિયમીત જામીન આપવામાં આવે. જયસુખ પટેલે ગત સુનાવણી દરમિયાન રજૂઆત કરતા કહ્યું હતું કે, મેં કોઈને જાણી જોઇને નથી માર્યા. મેં લોકોની સેવા કરવા માટે જ આ પ્રોજેક્ટ હાથ પર લીધો હતો. રાજ્ય સરકારના કહેવાથી જ આ પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો હતો.
આ તરફ મૃતકોના પરિવારજનોએ જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. મૃતકોના સ્વજનોએ આક્ષેપ કર્યો કે માત્ર પૈસા કમાવવાની લાલચમાં જ લોકોનો જીવ લેવાયો છે. આરોપીને જો જામીન પર મુક્ત કરવામાં આવે તો તે પુરાવા સાથે ચેડાં કરે કે સાક્ષીઓને ધમકાવે તેવી પણ શકયતા છે. આમ આરોપીને કોઈપણ રીતે જામીન નહીં આપવા માટે મૃતકોના સ્વજનો તરફથી રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો-ST બસમાં 140 મુસાફર ભરવાની પરેશાની દૂર, Tv9ના અહેવાલ બાદ નવો રુટ કરાયો શરુ
મહત્વનું છે કે સરકાર પણ જયસુખ પટેલને જામીન મળે તેના સમર્થનમાં છે. ગત સુનાવણી દરમિયાન સરકારી વકીલે દલીલો કરી હતી કે જયસુખ પટેલ નાસી છૂટે એવા આરોપી નથી. જયસુખ પટેલને જામીન મળે તે સામે સરકારને કોઈ વાંધો નથી. ચાર્જફ્રેમમાં લાંબો સમય લાગે તેમ છે તથા કેસમાં સાક્ષીઓ પણ વધારે હોવાથી સમય લાગે એમ છે. આવા સંજોગોમાં જેલમાં રહેવાથી જયસુખ પટેલના ઉદ્યોગો પર અસર પડી રહી છે.