ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પઢવા મામલે વિદેશી વિદ્યાર્થીઓ સાથે ટોળાએ કરી મારપીટ, બે લોકોની કરાઈ ધરપકડ, ઘટનાના દિલ્હી સુધી પડ્યા પડઘા

ગુજરાત યુનિવર્સિટીની કેમ્પસ હોસ્ટેલમાં ગત રાત્રે(શનિવાર 16 માર્ચ) વિદેશી વિદ્યાર્થીઓ સાથે નમાઝ પઢવા મામલે મારપીટની ઘટના સામે આવી છે. મારપીટ કરવાના આરોપમાં અમદાવાદના બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમબ્રાંચ દ્વારા બંને યુવકોની પૂછપરછ હાથ ધરાઈ હતી, આ સમગ્ર ઘટનાના દિલ્હી સુધી પડઘા પડ્યા છે અને વિદેશ મંત્રાલય દ્વારા પણ નિવેદન જારી કરાયુ છે.

| Edited By: | Updated on: Mar 17, 2024 | 8:26 PM

અમદાવાદ સ્થિત ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીના કેમ્પસમાં ગત રાત્રે ધર્મના નામે મારામારીની ઘટના સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટી જેવી નામાંકિત યુનિવર્સિટીમાં ખેલાયુ ધાર્મિક દંગલ. વિદ્યાના ધામને કલંકિત કરનારી ઘટનાના પડઘા દિલ્હી સુધી પડ્યા છે. સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે હાલ રમઝાન માસ ચાલી રહ્યો હોવાથી કેમ્પસ હોસ્ટેલમાં રહેતા કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ “A બ્લોક”ના કેમ્પસ બહાર નમાઝ પઢી રહ્યા હતા.

એ સમયે કેટલાક લોકોનું ટોળુ ત્યાં ઘુસી આવ્યુ અને અહીં જાહેરમાં નમાઝ કેમ પઢો છો એમ કહીને વિરોધ કર્યો. આ દરમિયાન નમાઝ પઢી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીએ ઊભા થઈ ટોળાના શખ્સો સાથે મારામારી કરી અને જોતજોતામાં ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ.

વિદેશી વિદ્યાર્થીએ લાફો મારતા બિચક્યો મામલો, ટોળાએ કરી તોડફોડ

આ ઘટના બાદ ટોળાએ વિદેશી વિદ્યાર્થીઓના રૂમમાં પણ તોડફોડ મચાવી, તેમનો તમામ સામાન વિખેરી નાખ્યો, તેમના લેપટોપ, એસી. ટેબલ, રૂમના બારી-બારણા, મ્યુઝિક સિસ્ટમ સહિતની તમામ વસ્તુઓને નુકસાન પહોંચાડવામાં આવ્યુ. ત્યાં સુધી કે તેમના વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યુ.

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી આ પ્રકારની ગેરવર્તણુકની વિદેશ મંત્રાલયે પણ ગંભીર નોંધ લીધી અને ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નિવેદન જારી કર્યુ કે ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી ઘટના મુદ્દે રાજ્ય સરકાર આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરી રહી છે.

મારામારીમાં બે વિદેશી વિદ્યાર્થીઓ સારવાર હેઠળ

વિદ્યાર્થીઓ સાથે મારામારીની જાણ થતા જ રાત્રે જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે વિદેશી વિદ્યાર્થીઓનુ કહેવુ છે કે તે પહેલા તો ટોળુ ફરાર થઈ ગયુ હતુ. મારામારીમાં ઘાયલ થયેલા બે વિદ્યાર્થીઓને એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જે પૈકી એક ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને રવિવારે સાંજે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો છે, જ્યારે એક હજુ સારવાર હેઠળ છે.

મારમારીની ઘટનામાં 2 લોકોની ધરપકડ, 25 સામે નોંધાઈ ફરિયાદ

આ સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર જી.એસ મલિકે ઘાયલ વિદ્યાર્થીઓ સાથે હોસ્પિટલમાં મુલાકાત કરી હતી. કમિશનરે જણાવ્યુ કે આ સમગ્ર વિવાદ જાહેરમાં નમાઝ પઢવાને લઈને શરૂ થયો હતો. જેમા કેટલાક લોકોએ વિદેશી વિદ્યાર્થીઓને નમાઝ પઢતા અટકાવતા મામલો બિચક્યો હતો. મારામારીમાં જે બે વિદ્યાર્થીઓને વધુ ઈજા પહોંચી છે તે પૈકી એક તઝાકિસ્તાન અને એક શ્રીલંકાનો નાગરિક છે.

હાલ પોલીસે 9 ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. પોલીસનો દાવો છે કે જલ્દી તેઓ આરોપીઓની ધરપકડ કરશે. ઈન્ચાર્જ ડીસીપીના જણાવ્યા મુજબ 25 લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે અને 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પણ સેક્શન 143,144,147,148,149,427,323,324,337,447 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ એન્ડ ડાયાસ્પોરાના કોઓર્ડિનેટરની હકાલપટ્ટી

આ સાથે વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલ સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ એન્ડ ડાયાસ્પોરાના કોઓર્ડિનેટરના કાર્યક્ષેત્ર અંતર્ગત આવે છે. સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ એન્ડ ડાયાસ્પોરાના કો-ઓર્ડિનેટરની હકાલપટ્ટી કરી દેવાઈ છે. આ સાથે વિદેશી વિદ્યાર્થીઓને હાલ નવી હોસ્ટેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. હોસ્ટેલ કેમ્પસમાં હાલ આવનારા તમામ લોકો પર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અનંત અંબાણીનું વજન એકાએક 208 કિલો થઈ જવા પાછળ હતુ આ કારણ- વાંચો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.