ગુજરાતની શાળાઓમાં ભગવદ ગીતા ભણાવવાનું જમીયત ઉલેમાને પસંદ ના આવ્યુ, હાઈકોર્ટમાં કરી અરજી

જમિયત ઉલેમા એ હિંદે (Jamiat Ulama E Hind) ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો છે કે સરકારે સરકારી શાળાઓમાં ભગવત ગીતા ભણાવવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય દ્વારા શાળાના વિદ્યાર્થીઓને વિવિધ શ્લોકો અને મંત્રોના પાઠ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે.

ગુજરાતની શાળાઓમાં ભગવદ ગીતા ભણાવવાનું જમીયત ઉલેમાને પસંદ ના આવ્યુ, હાઈકોર્ટમાં કરી અરજી
Bhagavad Gita (Symbolic image)
| Edited By: | Updated on: Jul 12, 2022 | 9:50 AM

ગુજરાતની શાળાઓમાં ભગવદ ગીતા ભણાવવાના નિર્ણયને જમીયત ઉલેમાએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે. શાળાઓમાં ભગવદ ગીતા ભણાવવા પર કરાયેલ રીટ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સરકારના આ નિર્ણય પર હાલ પૂરતો સ્ટે ઓર્ડર આપવાનો ઈન્કાર કરી દીધો છે. પરંતુ આ સાથે ગુજરાત સરકારને નોટિસ પાઠવીને આ મામલે જવાબ માંગવામાં આવ્યો છે. કોર્ટે આ મામલે ગુજરાત સરકારને જવાબ દાખલ કરવા માટે 18 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. જમિયત ઉલેમા-એ-હિંદે આ અરજી હાઈકોર્ટમાં દાખલ કરી છે.

જમિયતે હાઈકોર્ટમાં અરજી કરી હતી

જમિયત ઉલેમા એ હિંદે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો છે કે સરકારે સરકારી શાળાઓમાં ભગવત ગીતા ભણાવવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય દ્વારા શાળાના વિદ્યાર્થીઓને વિવિધ શ્લોકો અને મંત્રોના પાઠ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. આ નિર્ણય સમાનતાના અધિકાર અને ધર્મની સ્વતંત્રતાનું સીધું ઉલ્લંઘન છે. જમીયત ઉલેમા-એ-હિંદે સરકારના આ નિર્ણય પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અપીલ કરી છે.

કોર્ટે તાત્કાલિક સ્ટે આપવાનો ઇનકાર કર્યો

મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર અને ન્યાયાધીશ આશુતોષ શાસ્ત્રીની બેન્ચે આ મુદ્દા પર સુનાવણી કરતી વખતે અરજદાર સંગઠનને તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે તે પહેલા આ મામલે સરકારનો પક્ષ સાંભળશે. આ પછી જ આ મામલે યોગ્ય આદેશ જાહેર કરવામાં આવશે. આ પછી હાઈકોર્ટે ગુજરાત સરકારને 18 ઓગસ્ટ સુધીમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

ગુજરાત સરકાર શાળાઓમાં ભગવત ગીતા શીખવે છે

અત્રે ઉલ્લેખનીય છે કે શાળાના વિદ્યાર્થીઓમાં માનવીય મૂલ્યો વિકસાવવા અને તેમને તેમની સંસ્કૃતિ સાથે જોડવા માટે ગુજરાત સરકારે થોડા સમય પહેલા ભગવત ગીતાના પાઠ ભણાવવાની જાહેરાત કરી હતી. આ પાઠ શાળાની પ્રાર્થના સમયે કરવામાં આવે છે અને ત્યારબાદ શિક્ષકો દ્વારા આ સંસ્કૃત શ્લોકોનો સાર પણ કહેવામાં આવે છે. જમીયત ઉલામા (જમિયત ઉલામા એ હિંદ)ને શાળાઓમાં ભગવત ગીતાના પાઠ કરાવવા સામે વાંધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર સંગઠન સાથે જોડાયેલા મૌલાનાઓનું કહેવું છે કે ભગવત ગીતાના માધ્યમથી મુસ્લિમો અને અન્ય ધર્મના વિદ્યાર્થીઓને હિંદુ ધર્મ તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેથી તેને બંધ કરી દેવો જોઈએ.

Follow Us