અમદાવાદના આંગણે આજથી એક મહિના માટે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો સાંજથી પ્રારંભ થશે. સાંજે બીએપીએસના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર પૂજ્ય મહંત સ્વામી તેમજ અન્ય વડીલ સંતોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ દેશ વિદેશના હરિભક્તો અને ગુજરાતના હરિભક્તો પણ મોટી સંખ્યામાં આ મહોત્સવમાં ભાગ લેવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજના પાંચ વાગ્યે આ મહોત્સવને ઉદ્ધાટિત કરશે. તેઓ સાંજે પાંચ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે અને ત્યાંથી સીધા ઓગણજ મહોત્સવ સ્થળે જ પધારશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના છે તેમજ વિશાળ સંખ્યામાં બીએપીએસના અનુયાયીઓ પણ આ મહોત્સવમાં ભાગ લેવા માટે ઉમટી પડ્યા છે ત્યારે આજે આયોજિત થનારી સભા માટે પ્રવેશ મેળવી લેવા માટે હરિભક્તોને વિશેષ સૂચના પણ આપવામાં આવી છે. જે હરિભક્તો આજની સભામાં હાજર રહેવાના છે તેઓએ ચાર વાગ્યા પહેલા જ સભા સ્થળે પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવાનું છે. તેથી શિસ્ત અને સુરક્ષાની પરિસ્થિતિ જળવાયેલી રહે. સભામાં પ્રવેશ કરતા હરિભક્તોને પ્રવેશ સ્થળે જ ફૂડ પેકેટ પણ આપી દેવામાં આવશે તેમજ સાંજે સભાનું સમાપન 8-30 થી 9 વાગ્યા દરમિયાન થશે. ઉદ્ધાટન સભામાં યુવાનો અને બાળકો તેમજ સંત વૃંદ દ્વારા ભાગવાન સ્વામિનારાણ તેમજ પ્રમુખસ્વામી મહારાજના જીવન કાર્ય અંગે વિશેષ પ્રસ્તુતિઓ કરવામાં આવશે.
આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી છે. એક મહિના સુધી મહોત્સવનું સ્થળ ‘પ્રમુખસ્વામી મહારાજનગર’ અનેકવિધ કાર્યક્રમોથી ગુંજતું રહેશે. પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોજ મધ્યાહને અલગ-અલગ મહિલા કાર્યક્રમો, સવારે વિવિધ વિષયક એકેડેમિક કોન્ફરન્સ તથા એસોસિએશનોની કોન્ફરન્સ જેવા વિવિધ કાર્યક્રમોની ભરમાર રહેશે.
પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવને લઈને પોલીસ તંત્ર એલર્ટ થયું છે.. આટલા મોટા વિશાળ મહોત્સવમાં નેતાઓ, દેશ-વિદેશના VVIP મહેમાનો સહિત મુલાકાતીઓની સુરક્ષા માટે અમદાવાદ શહેર, ગ્રામ્ય અને ગાંધીનગર જિલ્લા પોલીસ સુરક્ષા બંદોબસ્તમાં જોડાશે. આ બંદોબસ્તમાં 2 SRP કંપનીઓ, 6 DCP કક્ષાના અધિકારીઓ, 25થી 30 પીઆઈ અને પીએસઆઈ અને 1500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. સાથે જ VVIPની કેટેગરી પ્રમાણે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સ્વામિનારાયણ સંપ્રદાય શિસ્તમાં ખૂબ જ માને છે, જેને કારણે પોલીસ વિભાગને સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ જ તકલીફ નહીં પડે. સાથે જ બંદોબસ્તમાં ગોઠવાયેલા પોલીસ વિભાગને ધાર્મિક મહોત્સવમાં સેવા આપવાની પણ તક મળશે
Published On - 7:24 am, Wed, 14 December 22