અમદાવાદમાં આજે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવ આવતીકાલથી જાહેર જનતા માટે ખૂલ્લો મૂકાશે ત્યારે અમદાવાદના વિવિધ સ્થળેથી ત્યાં કેવી રીતે પહોંચી શકાશે તેની વિગતો બીએપીએસ સંસ્થા દ્વારા આપવામાં આવી છે. જેમાં પ્રાઇવેટ વાહનો દ્વારા આવતા દર્શનાર્થીઓ અને મુલાકાતીઓ માટે પાર્કિંગ અને પ્રવેશ તેમજ સિટી બસ દ્વારા આવતા વાહનો માટેની પણ જાણકારી આપવામાં આવી છે. સાથે સંસ્થા દ્વારા એક વિશેષ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે સાથે જ psm100 Nagar નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ એપ્લિકેશનના માર્ગદર્શન દ્વારા દર્શનાર્થીઓ તેમજ મુલાકાતીઓ મહોત્સવ સ્થળ સુધી સીધા જ પહોંચી શકશે.
નગરમાં પ્રવેશની સાથે સાથે પાર્કિંગ અંગે પણ વિશેષ માર્ગદર્શિકા આપવામાં આવી છે જેના પાલન દ્વારા મુલાકાતીઓ નગરમાં દર્શન માટે સરળતાથી પહોંચી શકશે.
આ મહોત્સવમાં જવા માટે AMTS દ્વારા પણ બસની વિશે, વ્યવસ્થા કરવામાં આવી છે AMTS દ્વારા મહોત્સવ માટે આશરે 200 જેટલી બસ ફાળવવામાં આવી છે . સાથે જ એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવ માટે બોપલના વકીલ બ્રિજ પાસેથી પણ બસ મૂકવામાં આવી છે જે નજીવા ટિકિટ દરે લોકોને મહોત્સવ સ્થળ સુધી પહોંચાડી શકશે .
અમદાવાદના આંગણે આજથી એક મહિના માટે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો સાંજથી પ્રારંભ થશે. સાંજે બીએપીએસના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર પૂજ્ય મહંત સ્વામી તેમજ અન્ય વડીલ સંતોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ દેશ વિદેશના હરિભક્તો અને ગુજરાતના હરિભક્તો પણ મોટી સંખ્યામાં આ મહોત્સવમાં ભાગ લેવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજના પાંચ વાગ્યે આ મહોત્સવને ઉદ્ધાટિત કરશે. તેઓ સાંજે પાંચ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે અને ત્યાંથી સીધા ઓગણજ મહોત્સવ સ્થળે જ પધારશે.
પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવને લઈને પોલીસ તંત્ર એલર્ટ થયું છે.. આટલા મોટા વિશાળ મહોત્સવમાં નેતાઓ, દેશ-વિદેશના VVIP મહેમાનો સહિત મુલાકાતીઓની સુરક્ષા માટે અમદાવાદ શહેર, ગ્રામ્ય અને ગાંધીનગર જિલ્લા પોલીસ સુરક્ષા બંદોબસ્તમાં જોડાશે. આ બંદોબસ્તમાં 2 SRP કંપનીઓ, 6 DCP કક્ષાના અધિકારીઓ, 25થી 30 પીઆઈ અને પીએસઆઈ અને 1500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. સાથે જ VVIPની કેટેગરી પ્રમાણે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સ્વામિનારાયણ સંપ્રદાય શિસ્તમાં ખૂબ જ માને છે, જેને કારણે પોલીસ વિભાગને સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ જ તકલીફ નહીં પડે. સાથે જ બંદોબસ્તમાં ગોઠવાયેલા પોલીસ વિભાગને ધાર્મિક મહોત્સવમાં સેવા આપવાની પણ તક મળશે