
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા મેઘરાજાએ હાલ પૂરતો વિરામ લીધો છે, જેના કારણે રાજ્યભરમાં લોકોને ભારે વરસાદથી થોડી રાહત મળી છે. આગામી 48 કલાક સુધી રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને પુનઃસ્થાપન કામગીરીને વેગ આપશે. રવિવારે રાજ્યના માત્ર 64 તાલુકાઓમાં જ વરસાદ નોંધાયો હતો, જેમાં અમીરગઢ અને કપરાડામાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.
જોકે, હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આ રાહત લાંબા સમય સુધી રહે તેવી શક્યતા નથી. 30 જુલાઈથી 1 ઓગસ્ટ વચ્ચે બંગાળની ખાડીમાં એક નવી વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ફરી વરસાદી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી વરસાદી સિસ્ટમની અસર હેઠળ, 30 જુલાઈના રોજ છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર પછી, 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
રાજ્યના જળાશયોની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો, મુખ્ય સરદાર સરોવર ડેમ તેની કુલ ક્ષમતાના 69.25% ભરાયેલો છે. આ ઉપરાંત, રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ 45.17% પાણીનો સંગ્રહ થયો છે, જેમાંથી 14 ડેમ 100% ભરાઈ ચૂક્યા છે અને 25 ડેમ 70% થી 100% સુધી ભરાયા છે. સલામતીના ભાગરૂપે, રાજ્ય તંત્ર દ્વારા 21 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 4 ડેમ માટે એલર્ટ અને 14 ડેમ માટે વોર્નિંગ જારી કરવામાં આવ્યું છે.
ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી કુલ 52,085 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે પૂર કે પાણીમાં ફસાયેલા 7,995 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. હાલમાં રાહત અને બચાવ કામગીરી માટે રાજ્યમાં NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની 17 ટીમો, SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની 33 કંપનીઓ અને આર્મીની 5 ટીમો તૈનાત રાખવામાં આવી છે.
ખેતીવાડીની વાત કરીએ તો, રાજ્યમાં અત્યાર સુધીમાં 50.83 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે, જે સામાન્ય વાવેતરના 59.59% છે. આમાં મગફળી, સોયાબીન અને કપાસ મુખ્ય પાક રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ વરસાદ સામાન્ય કરતાં 12% વધુ નોંધાયો છે, જ્યારે અમદાવાદમાં સામાન્ય કરતાં 45% વધુ વરસાદ નોંધાયો છે. ચોમાસાના હજુ બે મહિના બાકી હોવાથી, આ વર્ષે ગુજરાત જળથી તરબોળ રહેશે તેવી સંભાવના છે.
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીનના હક માટે હવે સાંસદ મનસુખ વસાવા મેદાને, જુઓ Video