ઉનાળો (Summer 2022) હવે તેનું આકરુ સ્વરૂપ બતાવી રહ્યો છે. રાજ્યમાં કાળઝાળ ગરમી (Heat) કેર વર્તાવી રહી છે. અમદાવાદમાં આજે 47 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર જેવા શહેરોમાં લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમને ગરમીથી રાહત મળે. તેવામાં હવામાન વિભાગે (Meteorological Department) આગામી 1 દિવસ બાદ ગરમીથી રાહત મળવાની આગાહી કરી છે. એક દિવસ હજુ પણ ગરમી યથાવત રહેશે. અમદાવાદ શહેરમાં 45 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી ગરમીનું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે અમદાવાદમાં ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જેના કારણે લોકોનું બહાર નીકળવુ પણ મુશ્કેલ બની ગયુ. અમદાવાદના રસ્તાઓ આકરી ગરમીને સુમસાન બની ગયા છે. પરંતુ બે દિવસમાં પવનની દિશા દક્ષિણ પશ્ચિમ થતાં જ તાપમાનમાં ઘટાડો થવા લાગશે. હવામાન વિભાગ પ્રમાણે એક દિવસ બાદ 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.
ગરમી વધવાને કારણે લોકોની બીમાર પડવાની શક્યતા વધી જતી હોય છે. ત્યારે હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. તો અમદાવાદના અનેક વિસ્તારમાં રોગચાળો વકરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શેરડીના રસ, શિકંજી, ઠંડાઈ સહિતના સેન્ટરો પણ નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરી છે. જેથી પાણીજન્ય રોગચાળા પર કાબૂ મેળવી શકાય. આગામી બે દિવસ ગરમીનો પારો ઉંચો રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બે દિવસ બાદ ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે.
બીજી તરફ દેશમાં ગરમીને કારણે વધી રહેલા લૂના કેસને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એડવાઇઝરી જાહેર કરાઇ છે. જેમાં લોકોને લૂથી બચાવ અને લૂ લાગવાની સ્થિતિમાં શું કરવું તે અંગે માહિતી અપાઇ છે. સાથે જ રાજ્ય સરકારોને લૂના દર્દીઓની સારવાર માટે પૂરતા પ્રમાણમાં સ્વાસ્થ્ય અને અન્ય સુવિધા ઉપલબ્ધ કરવા સૂચન કર્યું છે.