ગુજરાતમાં(Gujarat) 2 જૂનના રોજ પાટીદાર નેતા હાર્દિક પટેલ(Hardik Patel) વિધિવત રીતે ભાજપમાં(BJP) જોડાશે. જો કે આ પૂર્વે હાર્દિક પટેલ સવારે પોતાના ઘરે દુર્ગા પૂજા પૂર્ણ કરીને એસજીવીપી ખાતે ગૌદાન કરીને ગાંધીનગર કમલમ કાર્યાલય તરફ જવા માટે રવાના થશે. વિરોધી પાર્ટીની રણનીતિની પણ પ્રશંસા થવી જોઈએ કોંગ્રેસ છોડતા પૂર્વે હાર્દિક પટેલના આ શબ્દોએ સ્પષ્ટતા કરી દીધી હતી કે હાર્દિક પટેલ હવે હિન્દુત્વની વિચારધારા ધરાવતી પાર્ટીનો સાથ આપીને પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરશે.
હાર્દિક પટેલના નામથી પણ જે ભારતીય જનતા પાર્ટી કિનારો કરતી હતી એ જ ભારતીય જનતા પાર્ટીમાં 28 વર્ષના હાર્દિક પટેલનું હાર્દિક સ્વાગત થઈ રહ્યું છે..હાર્દિક પટેલને ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસની જેમ કોઈ પદ કે મહત્વની જવાબદારી મળશે એ તો આવનારો સમય બતાવશે, પણ હા ત્રણ વર્ષ કોંગ્રેસ સાથે રહીને હાર્દિક પટેલે મોટી ભૂલ કરી અને કોંગ્રેસ છોડ્યા બાદ હાર્દિક પટેલે આ બાબત મીડિયા સમક્ષ કહીને ગુજરાતની જનતાની માફી પણ માંગી લીધી છે.
સવાલ હવે એ પણ છે કે પાટીદાર આંદોલન સમયથી ત્રણ વર્ષના કોંગ્રેસ પાર્ટીના કાર્યકાળ દરમિયાન ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરનાર હાર્દિક પટેલ હવે ભારતીય જનતા પાર્ટીમાં કઈ ભૂમિકામાં જોવા મળશે એના ઉપર સૌની નજર છે.હાર્દિક પટેલ 2015 થી શરૂ થયેલા પાટીદાર આંદોલનનું મુખ્ય ચહેરો બન્યો અને ત્યારબાદ ઘણા ઉતાર ચઢાવ રહ્યા પછી પણ હાર્દિક પટેલનું કદ વધતું ગયું, હાર્દિક પટેલ ની સાથે ના પાટીદાર અનામત આંદોલન સમિતિના સાથીઓથી અલગ હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવવાનો વિચાર કર્યો જ્યારે તેની સાથેના કેટલાક સાથીઓએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી.
ભાજપમાંથી એનસીપી માં જનાર રેશમા પટેલ હાર્દિક પટેલના આ નિર્ણય ઉપર પ્રતિક્રિયા આપતા કહે છે કે ભાજપ પાર્ટીમાં ગયા બાદ હાર્દિક પટેલનું શું થશે એ સમય જણાવશે.હાર્દિક પટેલના કેટલાક સાથીઓ કોંગ્રેસમાં જોડાયા જે હાર્દિક પટેલના આ નિર્ણય સામે નિવેદનો આપતા જોવા મળી રહ્યા છે..