ખેડૂતોનું આંદોલન ગાંધીનગર પહોંચે એ પહેલા જ પડ્યા બે ફાંટા, હવેે 30 જૂને ફરી ચક્કાજામ કરવાનું અપાયુ એલાન

ખેતરોમાં ખાનગી કંપનીઓ દ્વારા થાંભલા ઊભા કરવાના મુદ્દા અને યોગ્ય વળતરની માગણી સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે..ટેકાના ભાવમાં વધારો, યોગ્ય વળતર, ખાતરનો ભાવ વધારો સહિતના મુદ્દાઓ સાથે બનાસકાંઠાથી પણ ખેડૂતો ટ્રેક્ટર રેલીમાં જોડાયા..ટ્રેક્ટર કૂચ હવે ગાંધીનગર સુધી પહોંચશે ત્યારે સરકાર ખેડૂતોની માંગણીઓ પર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાયેલી હતી પરંતુ આ આંદોલન ગાંધીનગર પહોંચે એ પહેલા જ ખેડૂતોના બે ફાંટા પડી જતા રોકવુ પડ્યુ અને હવે 30 જૂને ફરી આંદોલન કરવાનો કોલ અપાયો છે.

ખેડૂતોનું આંદોલન ગાંધીનગર પહોંચે એ પહેલા જ પડ્યા બે ફાંટા, હવેે 30 જૂને ફરી ચક્કાજામ કરવાનું અપાયુ એલાન
| Edited By: | Updated on: Jun 15, 2026 | 10:02 PM

ખેડૂતોના ખેતરોમાં ખાનગી પાવરગ્રીડ કંપની દ્વારા થાંભલા નાખવા સામે વિરોધ તેમજ યોગ્ય વળતરની માગ સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે અને ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી લઈ કૂચ કરવાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જો કે ખેડૂતોના આ આંદોલનમાં બે ફાંટા પડી જતા ગાંધીનગર પહોંચે તે પહેલા જ આંદોલનનો ફિયાસ્કો થયો છે. ઓગણજ પહોંચતા જ ખેડૂતોના બે ફાંટા પડી ગયેલા જોવા મળ્યા. જેમા કેટલાક ખેડૂતો ગાંધીનગર કૂચ કરવા માટે મક્કમ હતા. બીજી તરફ ખેડૂતોને ખોટા સંદેશા પહોંચાડવામાં આવ્યા હોવાના પણ દાવા પાલ આંબલિયા અને લાલજી દેસાઈ દ્વારા કરવામાં આવ્યા. ખેડૂતોને સભા સ્થળને બદલે ટ્રેક્ટરોને ગાંધીનગર લઈ જવા માટે કહેવાઈ રહ્યુ છે. કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ દાવો કર્યો કે આંદોલનમાં કેટલાક ટોપીધારીઓ જોડાઈ ગયા છે અને તેઓ આંદોલનમાં આવ્યા નથી અને વાતાવરણ બગાડી રહ્યા છે. સભા કર્યા બાદ ગાંધીનગર જવાનું આયોજન હતુ પરંતુ ખેડૂતોને ગેરમાર્ગે દોરવામા આવ્યા.

ખેડૂતોમાં ભાગલા પડતા જાહેર સભાનો ફિયાસ્કો

ખેડૂતોના ભાાગલા પડી જતા સભા સ્થળે પણ બહુ ઓછા ખેડૂતો પહોંચ્યા હતા. કેટલાક ખેડૂતો હાઇવે પરથી જ પરત ફર્યા હતા. સભાસ્થળે જૂજ ખેડૂતો જ પહોચતા અને આંદોલનમાં વિવાદ થતા પાલ આંબલિયા ભાવુક જોવા મળ્યા હતા. તેમણે સભા સ્થળે ખેડૂતોને સંબોધતા કહ્યુ હતુ કે હું ભાંગી પડ્યો છુ. છેલ્લા 10 દિવસથી હું ઘરે નથી ગયો, શું મારી બે દીકરીઓને બાપની જરૂર નહીં હોય? આંબલિયાએ આક્ષેપ કર્યો કે ખેડૂતોને કેટલાક લોકોએ આવીને ગેરમાર્ગે દોર્યા છે. ખેડૂતો સાથે હું રાજકારણ કરતો હોવાનું કેટલાક લોકો ફેલાવી રહ્યા છે. હવે હું મારા પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય કરીશ કે મારે ખેડૂતોની લડત લડવી કે નહીં. તેમણે કહ્યુ ખેડૂતોને નમ્ર વિનંતી કે તમારા માટે લડત લડતા લોકોને હિંમત આપો.

30 જૂને ફરી ચક્કાજામ કરવાનો હુંકાર

આંદોલના ભાગલા પડવા અંગે લાલજી દેસાઈએ જણાવ્યુ કે આ આંદોલન કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા કરાયુ હતુ. શાંતિપુરા પાસે લોકોને જોતા સરકાર એક્શનમાં આવી છે. એક પણ નેતા પાસે કોંગ્રેસનો ખેસ નથી, આ આંદોલન કિસાન કોંગ્રેસ તરફથી કરાયું હતુ. અમે દુઃખી છીએ કે આંદોલનની મહેનત પર પાણી ફર્યું છે. તેમણે 30 જૂને ફરીથી ચક્કાજામનો કોલ આપવામાં આવ્યો છે. આંદોલન રાજકીય નથી તો અમિત ચાવડા અને ગેનીબેન માત્ર ત્યાં શુ કરતા હતા? તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યુ કે તેઓ માત્ર સાથ આપવા માટે આવ્યા હતા. પહેલાથી જ સૂચના અપાઈ હતી કે રાજનૈતિક વ્યક્તિઓ સ્ટેજ પર નહીં આવે. સરકાર રાહ જોઈને બેઠી હતી કે ખેડૂતોના બે ફાંટા પડે. ખેડૂતોને પોલીસે અધવચ્ચે પરત કર્યા છે.

પોલીસે સર્વિસ રોડ પર આડા JCB મૂકી ગાંધીનગર જતા રોક્યા હતા

ખેડૂતોએ આઉટર રિંગ રોડ બ્લોક કર્યો તો પોલીસે સર્વિસ રોડ આડે JCB મૂકી ગાંધીનગર જતા રોક્યા હતા. આક્રોશિત થયેલા ખેડૂતોએ રસ્તા પર ટ્રેક્ટર રાખી વિરોધ કર્યો. જેના કારણે પોલીસે ખેડૂતોને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો, આ દરમિયાન પોલીસ અને ખેડૂત વચ્ચે ઘર્ષણના દૃશ્યો પણ સર્જાયા હતા. ખેડૂતોનો એક વર્ગ ગાંધીનગર કૂચ કરવાની તૈયારીમાં હતો પરંતુ પોલીસે તેમને અધવચ્ચેથી જ રોકી લીધા હતા. આ હોબાળા દરમિયાન ખેડૂતોના બે ભાગલા પડી ગયા, જેમા કેટલાક ખેડૂતો ગાંધીનગર જવાની જીદમાં ટ્રેક્ટરથી ન જઈ શકતા ચાલતા ગાંધીનગર જવા નીકળી ગયો. તો અન્ય ખેડૂતોને કોંગ્રેસ નેતા સમજાવી સભા સ્થળે લઈ ગયા. આ વિવાદ બાદ પાલ આંબલિયા ખેડૂતોને ગેરમાર્ગે દોરવાના આરોપ બાદ તેઓ ભાવુક થયા.

ખેડૂતોની અધિકાર યાત્રા લઈ AAP પ્રદેશ પ્રમુખનું નિવેદન

ટ્રેક્ટર રેલીમાં ન જોડાવા અંગે ઈસુદાન ગઢવીએ સફાઈ આપતા કહ્યુ કે કેટલાક લોકો નહોતા ઈચ્છતા કે AAPના નેતા રેલીમાં જોડાય. આ ખેડૂતોની રેલી છે કોઈ પાર્ટીની રેલી નથી. અમારે આંદોલન હાઈજેક કરવાની કોઈ જરૂર નથી. ખેડૂતોનો મુદ્દો ભટકી ના જાય એટલે રેલીમાં જોડાતો નથી. 54 લાખ ખેડૂત પરિવારોની માફી માગું છું.

 

Follow Us