અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામ (Vishva Umiya Dham) ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra patel)ની ઉપસ્થિતિમાં આઝાદી કા અમૃત મહોત્સવના ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાસપુર- અમદાવાદ દ્વારા આજે 75 હજાર વૃક્ષારોપણ (Tree plantation) અને 75 હજાર તિરંગાઓના વિતરણનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રથમ છોડ વાવીને વૃક્ષા રોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના ભાગ રૂપે જન-જનની ભાગીદારી અભિયાન અંતર્ગત 1.5 લાખ લોકોને એક વૃક્ષનું દાન આપીને વિશ્વઉમિયાધામ ઉપવન અભિયાન સાથે જોડવાનો પણ સંકલ્પ કરવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ ઉમિયાધામ ખાતેના કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સાંસદ શારદાબેન પટેલ, વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ સહીત વિશ્વ ઉમિયા ધામના આગેવાનોના હસ્તે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી રૂપે અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ન માત્ર સરકાર પણ સામાજિક સંસ્થાઓની પણ અમૃત મહોત્સવ ઉજવવાની જવાબદારી હોય છે ત્યારે પાટીદારોની આસ્થાના કેન્દ્ર સમા વિશ્વ ઉમિયાધામ જાસપુર- અમદાવાદ દ્વારા 75 હજાર તિરંગાઓના વિતરણનો સંકલ્પ લેવાયો છે.
આ સંદર્ભે 7 મી ઓગસ્ટના દિવસે અમદાવાદ અને અન્ય 20 જિલ્લાઓ સહિત રાજ્યના વિવિધ 50 સ્થળે સવારે 10થી 12 વાગ્યા સુધીમાં 75 હજાર પરિવારોમાં 75 તિરંગાઓનું વિરતણ દરેક સમાજના અગ્રણીઓની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે. વધુમાં વિશ્વ ઉમિયાધામ સાથે જોડાયેલા અમેરિકા અને કેનેડા પરિવારો પણ પર્યાવરણ અભિયાનમાં જોડાયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કાર્યક્રમમાં સરકાર અને સામાજિક સંસ્થાના સંયુક્ત વિકાસાત્મક અભિગમ અંગે જણાવ્યું હતું કે સામાજિક સંસ્થાઓ અને સરકાર એક સાથે રહીને કામ કરવા ટેવાયેલા છે. જે સંસ્થા સમાજ ઉપયોગી કામ કરે છે એને સહકાર આપવા સરકાર કટિબદ્ધ છે. વિશ્વ ઉમિયા ધામમાં સૌથી ઊંચું મંદિર બનવાનું છે. આવનારા સમયમાં આ એક ઐતિહાસિક સ્થળ બની રહેશે.
વિશ્વઉમિયાધામ ખાતેના કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વિશ્વ ઉમિયાધામના નિર્માણ થતાં ગુજરાતને વૈશ્વિક સ્તરની ધાર્મિક ધરોહર પ્રાપ્ત થશે. અસંખ્ય ભાવિ-ભક્તો માટે વિશ્વ ઉમિયાધામનુ પ્રાંગણ અને સમગ્ર કૅમ્પસ આસ્થા સાથે સુદ્રઢ વ્યવસ્થાનુ કેન્દ્ર સાબિત થશે. હર ઘર તિરંગા અભિયાન કરનાર વિશ્વઉમિયાધામ પ્રથમ સામાજિક સંસ્થા છે.
વિશ્વ ઉમિયાધામની પ્રકૃતિના જતન અને દેશદાઝની પહેલને બિરદાવતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વિશ્વ ઉમિયાધામે સમાજના દરેક વર્ગની ચિંતા કરીને તેમના ઉત્થાન સાથેના સેવાકાર્યોની સરવાણી વહેડાવી છે. મા ઉમિયાના ધામનુ નિર્માણ થતાં અનેક લોકોને રોજગારી ઉપલબ્ધ બનશે. ઉમિયાધામ કેમ્પસમાં થનાર ૭૫ હજાર વૃક્ષારોપણથી કાર્બન ક્રેડિટમાં વધારો થશે તેમજ ઓક્સિજનની માત્રામાં વધારો થશે.