અમદાવાદમાં લોકોત્સવ સમી રથયાત્રાને (Rathyatra 2022) હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભગવાન ને આવકારવા મોસાળ સરસપુર (Saraspur)હરખઘેલું બન્યું છે. સરસપુરની વિવિધ પોળમાં ભગવાન સાથે આવનારા ભક્તોને ભોજન પીરસવાં રસોડાં ધમધમી રહ્યા છે. અમદાવાદમાં વર્ષોથી સરસપુરમાં ભગવાન વિશ્રામ કરે છે અને સરસપુર વાસીઓ મોસાળિયા બનીને ભગવાનને પ્રેમથી આવકારે છે અને હોશે હોશે જમાડે છે મોસાળમાં ભાણિયા બનીને જ્યારે ભગવાન જગ્ન્નાથ જ્યારે મોટા ભાઈ બળભદ્રજી અનો બેહન સુભદ્રા સાથે મોસાળ સરસપુરમાં પધારે છે ત્યારે તેમને મોહનથાળથી મોં મીઠું કરાવવામાં આવશે તો અન્ય પોળોમાં પણ ભક્તજનો માટે શાક, પૂરી, ફુલવડી, ખીચડી અને કઢી અને બુંદીના પ્રસાદની તૈયારીઓ થઈ રહી છે.
કહેવત છે ને કે ‘મોસાળમાં જમણને મા પીસરનારી’ પરંતુ ભગવાન આવતા હોય ત્યારે મોસાળિયા પણ એટલા જ હરખઘેલા છે ને ભગવાનને મા જશોદા કે દેવકીની જેમ જ હોશે હોશે જમાડશે અને તેમના લાડકોડ પૂરાં કરશે. કહેવાય છે કે એક ભાણેજ જમે તે તેનું પુણ્ય 100 બ્રાહ્ણોને જમાડવા બરાબર છે ત્યારે અહીં તો ભગવાન પોતે જ મોટા ભાઈ અને બહેન સાથે પધારવાના હોવાથી સરસપુરમાં હરખની હેલી જોવા મળી રહી છે અને આબાલ વૃદ્ધ હોંશેહોંશે રસોડાની સેવામાં જોડાયા છે. રથયાત્રા સરસપુરમાં ભોજન અને વિશ્રામ કરીને નીજ મંદિર પરત આવવાના માર્ગે આગળ વધતી હોય છે.
સરસપુરની 13 પોળમાં રથયાત્રામા આવતા ભકતજનો, ભજનમંડળી , અખાડા, ખલાસી ભાઈઓ અને ટ્રકના ટેબ્લોમાં સવાર લોકો સહિત સાધુ સંતો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે વર્ષોથી સરસપુરની બહાર રહેતા લોકો પણ સરસપુરમાં સેવા માટે આવી જાય છે અને ભગવાનના જમણની વ્યવસ્થા જોડાય છે.
સરસપુરમાં ભોજન વ્યવસ્થા વર્ષોથી થાય છે ત્યારે એક વિશેષતા એ પણ જોડાયેલી છે કે આટલા વર્ષોમાં કયારેય અહીં ભોજન ખૂટ્યું નથી. સરસપુરમાં રસોડાના સંચાલકના જણાવ્યા પ્રમાણે રથયાત્રાની આગલી રાત્રે બટાકાનું શાક બનાવવામાં આવે છે જેથી શાક બગડે નહીં. સમગ્ર ભોજન તૈયાર થઈ જાય એટલે બટુક ભોજન કરાવીને જેમ જેમ ભક્તો આવે તેમ તેમ તેમને જમાડવામાં આવે છે.આ સમગ્ર તૈયારીઓનો કેસ સ્ટડી કરવા માટે IIM અમદાવાદના વિદ્યાર્થીઓ પણ આવતા હોય છે.