
અમદાવાદમાં ઇબોલા વાયરસને લઈને તંત્ર હાઈ એલર્ટ પર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ઇબોલા વાયરસનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. યુગાન્ડા સહિત ત્રણ દેશોમાંથી અમદાવાદ આવેલા યાત્રીઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
હાલમાં 11 યાત્રીઓ, જેમાં નવ ભારતીય અને બે યુગાન્ડાના નાગરિકોનો સમાવેશ થાય છે, તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ યાત્રીઓમાં ઇબોલા વાયરસના કોઈ લક્ષણો હજુ સુધી જોવા મળ્યા નથી, જે રાહતની વાત છે. આ 11 યાત્રીઓમાંથી એક જોધપુર વોર્ડ વિસ્તારનો છે અને અન્ય દસ થલતેજ વિસ્તારના છે.
એરપોર્ટ પર ત્રણ દેશોમાંથી આવતા દરેક યાત્રીઓનું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. જો કોઈ યાત્રીમાં ઇબોલાના લક્ષણો જણાય, તો તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ કેસ તરીકે દાખલ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત, એસપીપી હોસ્પિટલમાં પણ એક વિશેષ ક્વોરન્ટાઇન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ તંત્ર ઇબોલાના સંભવિત ખતરા સામે સતર્ક અને સજ્જ છે.
ઇબોલા ચેપની શરૂઆતમાં કેટલાક સામાન્ય લક્ષણો જોવા મળી શકે છે. તેમાં સતત તાવ આવવો, શરીરમાં નબળાઈ અનુભવવી, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને ગળામાં દુખાવાની ફરિયાદ સામેલ છે. શરૂઆતમાં આ લક્ષણો સામાન્ય વાયરલ ઇન્ફેક્શન જેવા લાગતા હોવાથી લોકો ઘણી વખત તેને અવગણતા હોય છે.
જો સમયસર સારવાર ન મળે તો ઇબોલાનો ચેપ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. ચેપ વધ્યા બાદ દર્દીમાં ઉલટી, ઝાડા, રક્તસ્ત્રાવ, શોક અને બહુવિધ અંગો નિષ્ફળ થવા જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ગંભીર સ્થિતિમાં દર્દીની તબિયત ઝડપથી બગડી શકે છે.
IMA દ્વારા ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓને ચેપ નિયંત્રણના તમામ નિયમોનું કડક પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ સામાન્ય લોકોને પણ સ્વચ્છતા જાળવવા, ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવા સૂચના આપવામાં આવી છે.
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન, જુઓ Video
Published On - 5:45 pm, Wed, 27 May 26