ચૂંટણી પૂરી આક્ષેપબાજી યથાવત, સ્થાનિક સ્વરાજ ચૂંટણી બાદ અમિત ચાવડાનો ભાજપ પર મોટો પ્રહાર, જુઓ Video

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોલીસ અને અધિકારીઓ પર ભાજપના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કોંગ્રેસના નેતાઓને ખોટા કેસમાં ફસાવવા અને ધમકાવવાનો દાવો કર્યો.

ચૂંટણી પૂરી આક્ષેપબાજી યથાવત, સ્થાનિક સ્વરાજ ચૂંટણી બાદ અમિત ચાવડાનો ભાજપ પર મોટો પ્રહાર, જુઓ Video
| Edited By: | Updated on: May 16, 2026 | 6:18 PM

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો આવ્યા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર આકરા પ્રહારો કર્યા છે અને પોલીસ તંત્ર તેમજ સરકારી અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અધિકારીઓએ પક્ષપાતપૂર્ણ રીતે ભાજપના ઈશારે કામ કર્યું હતું.

કોંગ્રેસના નેતાઓને ધમકાવવામાં આવી રહ્યા છે..!

ચાવડાના મુખ્ય આક્ષેપોમાં કોંગ્રેસના નેતાઓને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હોવાનો અને ચૂંટાયેલા અધિકારીઓને ધમકી આપીને ડરાવવામાં આવ્યા હોવાનો સમાવેશ થાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ચૂંટણી બાદ પણ કોંગ્રેસના નેતાઓને ધમકાવવામાં આવી રહ્યા છે, જે લોકશાહી પ્રક્રિયા માટે યોગ્ય નથી. અમિત ચાવડાએ બે પ્રકારના અધિકારીઓનો ઉલ્લેખ કર્યો.

એક તરફ, પ્રમાણિક અધિકારીઓ જે નિષ્ઠા અને પ્રમાણિકતાથી પોતાની ફરજ અદા કરે છે. બીજી તરફ, ચાપલુસ અને ભ્રષ્ટાચારી અધિકારીઓ જેઓ સરકારનો હાથો બનીને ભાજપનો કેસરી ખેસ પહેરીને કાર્યકર તરીકે કામ કરતા હોય તેવું વર્તન કરે છે. તેમણે આવા અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જોયા હોવાનો દાવો કર્યો હતો.

પોલીસની કામગીરી પર પણ ગંભીર સવાલો

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે વડોદરાના ચૂંટાયેલા કોર્પોરેટર આશિષ જોશીનું ઉદાહરણ આપતા કહ્યું કે તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હોવાનો આરોપ છે. આ ઘટનાએ પોલીસની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે. અમિત ચાવડાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભાજપની ચાપલુસી કરતા અધિકારીઓ અને પોલીસકર્મીઓને ખુલ્લા પાડવામાં આવશે. તેમણે આ સમગ્ર મામલે ગાંધીનગર સુધી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

ચાવડાએ વધુમાં કહ્યું કે ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, પોલીસ અને પ્રશાસન સરકારના અને ભાજપના નેતાઓના ઈશારે કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓને હેરાન-પરેશાન કરવામાં ક્યાંય પાછીપાની કરતા નથી. આગામી દિવસોમાં આખા ગુજરાતના લોકોને સાથે રાખીને ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય સુધી કૂચ કરવામાં આવશે. આ ઉપરાંત, આવા ભ્રષ્ટ અને ફરજ ભૂલેલા અધિકારીઓને ખુલ્લા પાડીને તેમની સામે કાર્યવાહી કરવા માટે રાજ્યપાલ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવશે. આ આંદોલન ભ્રષ્ટ પ્રણાલી સામે કોંગ્રેસના વિરોધનું પ્રતિક બનશે તેમ ચાવડાએ જણાવ્યું હતું.

ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video

Follow Us