અમદાવાદમાં ફરી એક મનપાના ફૂડ વિભાગની શહેરમાં મોટી કાર્યવાહી કરી છે. મનપાના ફૂડ વિભાગે અમદાવાદની 5 હોટલમાંથી ખાદ્ય ચીજવસ્તુના નમૂના લીધા હતા. આ તમામ ખાદ્ય ચીજવસ્તુના નમૂના ફેલ થયા છે. પનીર, બટર, મલાઈના નમૂના હલકી ગુણવત્તાના હોવાનું સામે આવ્યુ છે. મ્યૂનિ. કોર્પોરેશને 46 હજારનો દંડ ફટકાર્યો છે. તેમજ મ્યૂનિ. કોર્પોરેશને 140 એકમને નોટીસ ફટકારી છે.
ફૂડ વિભાગે 317 કિલો ખાદ્ય પદાર્થ નાશ કર્યો છે. એપ્રિલ મહીનામાં અત્યાર સુધી 68 ખાદ્યપદાર્થના નમૂના લેબમાં મોકલાયા. જેમાં દૂધની બનાવટના 6, આઈસ્ક્રીમના 12, બેકરી પ્રોડક્ટના 4 નમૂના લેવાયા છે. આ ઉપરાંત શેરડીના રસના 8, બરફ ગોળાના 6 નમૂના લેવાયામાં આવ્યા છે. મસાલાના 10 તો નમકીનના 6 અને ખાદ્યતેલના 2 નમૂના લેવામાં આવ્યા છે.
બીજી તરફ આ અગાઉ બનાસકાંઠા જિલ્લામાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. કાણોદરમાં આવેલ શ્રીમુલ ડેરી તથા નમસ્તે ફૂડ પ્રોડક્ટ્સમાં દરોડાની કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. લગભગ 53 લાખ રુપિયાની કિંમતના 8,200 કિલો ઘીના શંકાસ્પદ જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો.
આ અગાઉ પણ રાજકોટના રણછોડનગર વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમના દરોડા પડ્યા હતા. જેમાં જય રાધે બ્રાન્ડના ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. ઘીમાં એડલ્ટરન્ટ ઉમેરતા હોવાનો શંકા હોવાથી દરોડા પાડ્યા હતા.જેમાં 30 કિલો લુઝ ઘી, રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલનો 134 લિટરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ ગીર સોમનાથમાં લગ્ન પ્રસંગમાં શ્રીખંડ અને છાશ આરોગવાથી 200થી વધુ લોકોને ફૂડ પોઈઝિંગ થયુ હતુ. વેરાવળના માથાસુરી ગામે આ ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી.50 જેટલા બાળકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી. તાલાળા હોસ્પિટલના બેડ ખૂટી પડતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
Published On - 11:53 am, Sun, 21 April 24