
અમદાવાદ એરપોર્ટ પર મંગળવારે સાંજે મોટી દુર્ઘટના ટળી હોવાની ઘટના સામે આવી છે. સાંજે આશરે 6:30 વાગ્યે એક જ રનવે પર એર ઈન્ડિયા અને ઈન્ડિગોના બે વિમાનો સામસામે આવી જતા ટક્કર થઇ જવા જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાને પગલે એરપોર્ટ પર થોડા સમય માટે ચકચાર મચી ગઈ હતી અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ મુંબઈથી અમદાવાદ આવેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI2493 લેન્ડિંગ બાદ ટેક્સીંગ દરમિયાન અજાણતામાં ખોટી દિશામાં વળી ગઈ હતી. વિમાન નિર્ધારિત ટેક્સી ટ્રેકથી ભટકી જતાં અન્ય વિમાન સાથે જોખમી પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે સમયસર સ્થિતિને કાબૂમાં લેવામાં આવતા કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી.
પરિસ્થિતિની ગંભીરતા સમજી એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. ATCની સૂચના બાદ એર ઈન્ડિયાના વિમાનને તરત જ રોકી સુરક્ષિત રીતે પરત પાર્કિંગ બેમાં લઈ જવામાં આવ્યું હતું. સમયસર લેવાયેલા આ પગલાંને કારણે સંભવિત મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સમગ્ર મામલે એર ઈન્ડિયાએ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે 24 જૂનના રોજ મુંબઈથી અમદાવાદ આવેલી ફ્લાઇટ AI2493 લેન્ડિંગ બાદ ટેક્સીંગ દરમિયાન ભૂલથી ખોટો વળાંક લઈ ગઈ હતી. ત્યારબાદ તમામ જરૂરી સુરક્ષા પ્રક્રિયાઓ અનુસરી વિમાનને પાર્કિંગ વિસ્તારમાં પરત લાવવામાં આવ્યું હતું.
એર ઈન્ડિયાએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બરો સંપૂર્ણપણે સલામત છે. આ ઘટનામાં કોઈ મુસાફર કે ક્રૂ સભ્યને ઈજા પહોંચી નથી અને કોઈ પ્રકારનું નુકસાન પણ નોંધાયું નથી.
એર ઈન્ડિયાએ વધુમાં જણાવ્યું કે સમગ્ર ઘટનાની જાણ સંબંધિત રેગ્યુલેટરી ઓથોરિટીને કરી દેવામાં આવી છે. હવે ઘટનાના ચોક્કસ કારણો જાણવા અને જવાબદારી નક્કી કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. ઉડ્ડયન સુરક્ષા સાથે સંકળાયેલી એજન્સીઓ પણ સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરી રહી છે.
આ ઘટના બાદ એરપોર્ટની ટેક્સીંગ પ્રક્રિયા અને એર ટ્રાફિક મેનેજમેન્ટને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. જોકે સદનસીબે ATCની સતર્કતા અને ઝડપી નિર્ણયના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ, પરંતુ ઘટનાએ હવાઈ સુરક્ષા વ્યવસ્થાને લઈને નવી ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો- Breaking News : 24 કલાકમાં ગુજરાત સહિત 19 રાજ્યોમાં ભારે વાવાઝોડા અને વરસાદનું એલર્ટ