Ahmedabad Breaking News : અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એક જ રનવે પર સામસામે આવ્યા એર ઈન્ડિયા અને ઈન્ડિગોના વિમાન

અમદાવાદ એરપોર્ટ પર મંગળવારે સાંજે મોટી દુર્ઘટના ટળી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાંજે આશરે 6:30 વાગ્યે એક જ રનવે પર એર ઈન્ડિયા અને ઈન્ડિગોના બે વિમાનો સામસામે આવી જતા ટક્કરની સ્થિતિ સર્જાઈ હતી. જોકે એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) દ્વારા સમયસર સતર્કતા દાખવવામાં આવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ઘટનાને પગલે એરપોર્ટ પર થોડા સમય માટે ચકચાર મચી ગઈ હતી.

Ahmedabad Breaking News : અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એક જ રનવે પર સામસામે આવ્યા એર ઈન્ડિયા અને ઈન્ડિગોના વિમાન
| Edited By: | Updated on: Jun 25, 2026 | 9:59 AM

અમદાવાદ એરપોર્ટ પર મંગળવારે સાંજે મોટી દુર્ઘટના ટળી હોવાની ઘટના સામે આવી છે. સાંજે આશરે 6:30 વાગ્યે એક જ રનવે પર એર ઈન્ડિયા અને ઈન્ડિગોના બે વિમાનો સામસામે આવી જતા ટક્કર થઇ જવા જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાને પગલે એરપોર્ટ પર થોડા સમય માટે ચકચાર મચી ગઈ હતી અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી.

ટેક્સીંગ દરમિયાન એર ઈન્ડિયાનું વિમાન ખોટી દિશામાં વળ્યું

પ્રાથમિક માહિતી મુજબ મુંબઈથી અમદાવાદ આવેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI2493 લેન્ડિંગ બાદ ટેક્સીંગ દરમિયાન અજાણતામાં ખોટી દિશામાં વળી ગઈ હતી. વિમાન નિર્ધારિત ટેક્સી ટ્રેકથી ભટકી જતાં અન્ય વિમાન સાથે જોખમી પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે સમયસર સ્થિતિને કાબૂમાં લેવામાં આવતા કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી.

ATCની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના

પરિસ્થિતિની ગંભીરતા સમજી એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. ATCની સૂચના બાદ એર ઈન્ડિયાના વિમાનને તરત જ રોકી સુરક્ષિત રીતે પરત પાર્કિંગ બેમાં લઈ જવામાં આવ્યું હતું. સમયસર લેવાયેલા આ પગલાંને કારણે સંભવિત મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

એર ઈન્ડિયાએ આપી સત્તાવાર સ્પષ્ટતા

સમગ્ર મામલે એર ઈન્ડિયાએ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે 24 જૂનના રોજ મુંબઈથી અમદાવાદ આવેલી ફ્લાઇટ AI2493 લેન્ડિંગ બાદ ટેક્સીંગ દરમિયાન ભૂલથી ખોટો વળાંક લઈ ગઈ હતી. ત્યારબાદ તમામ જરૂરી સુરક્ષા પ્રક્રિયાઓ અનુસરી વિમાનને પાર્કિંગ વિસ્તારમાં પરત લાવવામાં આવ્યું હતું.

તમામ મુસાફરો અને ક્રૂ સંપૂર્ણપણે સલામત

એર ઈન્ડિયાએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બરો સંપૂર્ણપણે સલામત છે. આ ઘટનામાં કોઈ મુસાફર કે ક્રૂ સભ્યને ઈજા પહોંચી નથી અને કોઈ પ્રકારનું નુકસાન પણ નોંધાયું નથી.

રેગ્યુલેટરી ઓથોરિટીને કરાઈ જાણ, તપાસ શરૂ

એર ઈન્ડિયાએ વધુમાં જણાવ્યું કે સમગ્ર ઘટનાની જાણ સંબંધિત રેગ્યુલેટરી ઓથોરિટીને કરી દેવામાં આવી છે. હવે ઘટનાના ચોક્કસ કારણો જાણવા અને જવાબદારી નક્કી કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. ઉડ્ડયન સુરક્ષા સાથે સંકળાયેલી એજન્સીઓ પણ સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરી રહી છે.

સુરક્ષા વ્યવસ્થાને લઈને ઊભા થયા સવાલ

આ ઘટના બાદ એરપોર્ટની ટેક્સીંગ પ્રક્રિયા અને એર ટ્રાફિક મેનેજમેન્ટને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. જોકે સદનસીબે ATCની સતર્કતા અને ઝડપી નિર્ણયના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ, પરંતુ ઘટનાએ હવાઈ સુરક્ષા વ્યવસ્થાને લઈને નવી ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો- Breaking News : 24 કલાકમાં ગુજરાત સહિત 19 રાજ્યોમાં ભારે વાવાઝોડા અને વરસાદનું એલર્ટ

Follow Us