ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) પૂર્વે આજે રવિવારથી ભાજપની (BJP) દ્વિ દિવસીય ચિંતન બેઠક અમદાવાદ (Ahmedabad) જિલ્લાના બાવળા ખાતે આવેલ કેન્સવિલે કલબમાં યોજાશે. તારીખ 15 અને 16 મે ના રોજ યોજાનાર ચિંતન બેઠકમાં રાષ્ટ્રીય નેતાઓ માર્ગદર્શન આપશે. સૂત્રોએ જણાવ્યુ હતુ કે, વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાને લઈને સમગ્ર આયોજન હાથ ધરાશે. આ બેઠકમાં નક્કી કરાયેલ રૂપરેખા મુજબ આગામી દિવસોમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો જનતાની વચ્ચે જશે. ગુજરાતમાં સમગ્ર મંત્રીમંડળમાં ફેરફાર કરીને ભાજપે હાથ ધરેલ રાજકીય પ્રયોગને સફળ બનાવવા અને વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર ભવ્ય જીત મેળવીને સરકાર બનાવવા માટેનુ મંથન કરવામાં આવશે.
રવિવારથી યોજાનાર બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ગુજરાત ભાજપના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ તથા સુધીર ગુપ્તા સહિતના નેતાઓની હાજરી રહેશે. જ્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. આ ચિંતન બેઠકમાં બે દિવસ સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપના પ્રદેશકક્ષાના પદાધિકારીઓ પણ હાજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ભાજપની ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
વિધાનસભાની ચૂંટણી પૂર્વે, ભાજપને ફાયદો થાય અને કોંગ્રેસને નુકસાન થાય તેવા ગણિત સાથે કેટલાક લોકોને ભાજપને ખેસ પહેરાવવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરનાર ભાજપ કોંગ્રેસ અને આપ સહીતના રાજકીયપક્ષના મજબૂત અને સમાજના વિવિધ વર્ગમાં વર્ચસ્વ ધરાવનારને ભાજપમાં ભેળવી દેવાશે. જો કે ભાજપના આ પ્રકારના ભરતીમેળાથી પક્ષના પાયાના કાર્યકરો નારાજ ના થાય તેનુ પણ ધ્યાન રખાશે.
વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જાણે ભરતી મેળો શરૂ થઈ ગયો છે. ગાંધીનગર કમલમ ખાતે સુરેન્દ્રનગરના NSUI અને યુથ કૉંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે. સુરેન્દ્રનગર NSUIના પ્રમુખ યુવરાજસિંહ ચુડાસમા તેમની ટીમ સાથે ભાજપમાં સામેલ થયા છે. સાથે જ સુરેન્દ્રનગર જિલ્લા NSUIના મંત્રી, મહામંત્રી, ચોટીલા, મૂળી,સાયલા, ચુડા,લખતર, લીંબડી, ધાંગધ્રા NSUIના પ્રભારી તેમની ટીમ સાથે ભાજપમાં જોડાયા છે. ભાજપના આગેવાનો અને નેતાઓએ કૉંગ્રેસના આગેવાનું ટોપી અને કેસરિયો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. બીજીતરફ બહુચરાજીના કટોસણના રાજવી પરિવારના યુવરાજ ધર્મપાલસિંહ પણ ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયેલા બંને મુખ્ય આગેવાનોએ કહ્યું કે તેઓ ભાજપની વિચારધારાથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા છે. તેમણે આક્ષેપ કર્યો કે કૉંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે, પરિવર્તન અને નેતૃત્વનો અભાવ છે.
બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ ધીમી ગતીએ ગુજરાતમાં પગપેસારો કરી રહી છે. ગુજરાતમાં વિપક્ષ તરીકે નબળા પડેલ કોંગ્રેસનો ફાયદો ઉઠાવવા આમ આદમી પાર્ટીએ કમર કસી છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત ભ્રમણનો કાર્યક્રમ હાથ ધરાશે. ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયોથી પ્રજાજનોને મુશ્કેલી પડતી હોવાના મુદ્દાઓ ઉઠાવાશે. તો છેલ્લા 25થી પણ વર્ષોથી ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતા વિકાસથી વંચિત રહેલા વિસ્તારો અને જરૂરીયાતના અભાવનો મુદ્દે પ્રજા સમક્ષ લઈ જવાનું આમ આદમી પાર્ટી દ્વારા નક્કી કરાયુ છે.
ભાજપના પગલે પગલે આમ આદમી પાર્ટીએ પણ રાજકીય અને સામાજિક ક્ષેત્રે મહત્ત્વની ગણાતી વ્યક્તિઓને પોતાના પક્ષમાં લાવવાની કોશિશ શરૂ કરી દીધી છે. આજે ભાજપની યુવા પાંખ બીજેવાયએમના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ વિકાસ દુબે અને આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા વચ્ચે થઇ બેઠક થઈ હતી. આમ આદમી પાર્ટીમાં જોડાવવા મુદ્દે થઈ ચર્ચા થઈ હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે વિકાસ દુબે અને પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવી સાથે થઈ ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
Published On - 8:29 am, Sun, 15 May 22