
ગત ટર્મની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જેમ જ આ વખતે પણ ચૂંટણીમાં લોકોને રોજબરોજ સ્પર્શતા મુદ્દાઓ ભૂલાવી દઈને ભારત-પાકિસ્તાન, હિંદુ મુસ્લિમ, રોહિંગ્યા, જેવા મુદ્દાઓ પર શાસક વિપક્ષ આક્ષેપબાજી કરતા જોવા મળી રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ખાડિયાને બીજુ પાકિસ્તાન નહીં બનવા દેવાનો હુંકાર ભર્યો હતો તો વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે ફરી આ જ પ્રકારનું એક સ્ફોટક નિવેદન આપ્યુ છે. અમિત ઠાકરે કહ્યુ કે વેજલપુર વિધાનસભામાં બીજુ ચંડોળા નહીં બનવા દઉ. જો જુહાપુરાને ચંડોળા જેવુ જોવા માગતા હો તો કોંગ્રેસ-AIMIM ને વોટ આપજો. જેને ગાર્ડન જોઈએ તે ભાજપને જ વોટ આપશે. જેને ચંડોળા જોઈએ તે કોંગ્રેસને વોટ આપશે.
અમિત ઠાકરે જણાવ્યુ કે વર્ષોથી જુહાપુરામાં કોંગ્રેસ – AIMIM એ વિકાસ અટકાવી રાખ્યો છે એટલે જ તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યુ છે. અમિત ઠાકરે જણાવ્યુ કે જુહાપુરાના લોકોના મનમાં એ રોષ છે કે જોધપુર વોર્ડ જેવી સુવિધાઓ તેમના વોર્ડમાં નથી. તો અમિત ઠાકરે તેનો જવાબ આપ્યો કે વિકાસ જોઈતો હોય તો ભાજપ ને મત આપો. બાકી AIMIM અને કોંગ્રેસ તેમની વોટબેંકની રાજનીતિ માટે જુહાપુરાને ચંડોળા બનાવીને જ રહેશે.
જુઓ Video
આ તરફ કોંગ્રેસના હિંમતસિંહ પટેલે અમિત ઠાકરના નિવેદન પર પલટવાર કરતા કહ્યુ ભાજપ હાર ભાળી ગઈ હોવાથી આવા નિવેદનો કરી રહી છે. ભાજપના કોર્પોરેટરોનો ચારેબાજુથી જનતા વિરોધ કરી રહી છે. ભાજપના કાંડ, કૌભાંડ અને ભ્રષ્ટાચારથી જનતા કંટાળી ગઈ છે. ભાજપ પાસે કોઈ મુદ્દા રહ્યા નથી એટલે આવા ભડકાવનારા નિવેદનો કરી રહી છે. એકતરફ જનતા ત્રસ્ત છે અને ભાજપ સત્તાના નશામાં મદમસ્ત છે.
જો કે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જે તે પાર્ટી દ્વારા પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લડાતી હોય છે પરંતુ હાલમાં રોડ,રસ્તા ગટર, શુદ્ધ પીવાના પાણીની પાયાની જરૂરિયાતોના મુદ્દાઓ કોરાણે મુકીને હિંદુ-મુસ્લિમ, પાકિસ્તાન, દાઉદ જેવા મુદ્દાઓને આગળ ધરીને જનતા સમક્ષ વોટ માગવામાં આવી રહ્યા છે.
Input Credit- Ronak Varma, Narendra Rathod- Ahmedabad
Published On - 5:57 pm, Mon, 20 April 26