અમદાવાદ શહેરમાં વહેલી સવારથી મેઘરાજાની પધરામણી થઈ હતી અને બપોરના બે વાગતા સુધીમાં 5 થી 6 ઈંચ જેટલો વરસાદ એકસામટો ખાબકી ગયો છે. દોઢેક મહિનાના વિરામ બાદ અમદાવાદ શહેરમાં આ પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે તો બીજી તરફ વરસાદની મજા અમદાવાદીઓ માટે જાણે સજા બની હોય તેવા દૃશ્યો શહેરના તમામ વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે. ચાહે પૂર્વ ના વિસ્તારો હોય કો પશ્ચિમના પોશ વિસ્તારો હોય, એકપણ માર્ગ કે સોસાયટી એવી નથી જ્યાં પાણી ન ભરાયા હોય.
અમદાવાદના એસજી હાઈવે, સેટેલાઈટ, જોધપુર, શિવરંજની, જીવરાજપાર્ક, વેજલપુર, મલાવ તળાવ, વાસણા સહિતના વિસ્તારોમાં ભારે જળભરાવની સ્થિતિ છે અને તમામ માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. ન માત્ર માર્ગો પરંતુ રહેણાંક વિસ્તારોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાવાના દૃશ્યો અનેક વિસ્તારોમાંથી જોવા મળી રહ્યા છે.
આ તરફ એસજી હાઈવે પર બોડકદેવ, થલતેજ, સોલા, ચાણક્યપુરી, ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં પણ માર્ગો પર મોટી માત્રામાં પાણી ભરાયા છે અને વાહનચાલકો ભારે હાલાકી વેઠવા મજબુર બન્યા છે. દર ચોમાસાની ઋતુમાં અમદાવાદીઓ માટે વરસાદ જાણે સજા બની જતો હોય તે પ્રકારના દૃશ્યો જોવા મળે છે. દર વર્ષે પ્રિમોન્સુન કામગીરીના નામે મસમોટા દાવા કરવામાં આવે છે પરંતુ એક થી દોઢ ઈંચ વરસાદમાં જ સમગ્ર શહેરે જાણે જળસમાધિ લીધી હોય તે પ્રકારના દૃશ્યો જોવા મળે છે. વર્ષોની આ સમસ્યા કે સ્થિતિમાં લેશમાત્ર પણ સુધારો કે બદલાવ જોવા નથી મળી રહ્યો. ત્યારે સવાલ એ પણ છે કે હજારો કરોડોના ફાળવાયેલા બજેટનુ મનપાના અધિકારીઓ કરે છે શું? કેમ જમીન પર કામગીરી જોવા મળતી નથી.
અમદાવાદના બોપલ, ઘુમા, આંબલી, સાઉથ બોપલ, ક્લબ ઓ સેવન આસપાસના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે. અહીં આવેલા ન્યુ ડેવલપ્ડ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. કરોડો રૂપિયા ખર્ચીને લોકોએ અહીં બંગલા અને ફ્લેટ્સ ખરીદ્યા છે છતા લોકોને ડ્રેનેજની યોગ્ય સુવિધા મળી નથી રહી. પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી સૌથી વધુ ત્રસ્ત વિસ્તાર ઘુમા, સાઉથ બોપલ અને તેની આસપાસના વિસ્તારો છે. આ એ વિસ્તારો છે જે કોર્પોરેશનને સૌથી વધુ ટેક્સ પે કરે છે. અહીં અનેક નામી ઉદ્યોગપતિઓ અને નામાંકિત લોકોના ઘરો આવેલા છે છતા આ વિસ્તારની આ દશા છે.
અમદાવાદના શેલા વિસ્તારમાં પાણી ભરાવા અંગે તો ખુદ ગૃહમંત્રી અમિત શાહે સંજ્ઞાન લઈ બે વર્ષમાં આ પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળશે તેવો દાવો કર્યો હતો પરંતુ બે વર્ષ કરતા વધુ સમય વિતવા છતા અહીં પાણી ભરાવાની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યુ નથી. હજુ બે મહિના પહેલા વરસેલા વરસાદમાં અહીંના લોકોને પારાવાર હાલાકી વેઠવી પડી હતી અને અહીં સ્થિતિનું નિરીક્ષણ કરવા આવેલા મેયરનો પણ લોકોએ ઘેરાવ કર્યો હતો અને ઉધડો લીધો હતો. દર વર્ષે તંત્ર સમક્ષ લોકો સવાલ કરતા જોવા મળે છે કે શું આ હદની આ હાલાકી વેઠવા માટે તેઓ સૌથી વધુ ટેક્સ ચુકવે છે. કહેવાતા ન્યુ ડેવલપ્ડ વિસ્તારની જો આ સ્થિતિ હોય તો વિચારો અન્ય વિસ્તારોમાં તો કઈ હદે સ્થિતિ વણસેલી હશે!
ચાલુ વર્ષે મહાનગરપાલિકાનું 18 હજાર કરોડ રૂપિયા થી વધુનું બજેટ ફાળવાયુ છે, છતા રસ્તા પર એ હદે પાણી ભરાયેલા હોય છે કે લોકોની કરોડો રૂપિયાની ગાડીઓ પણ જવાબ દઈ દે છે અને બંધ પડી જાય છે. દર ચોમાસાએ ગાડીઓને ધક્કા મારવા માટે મજબુર કરતા મનપા તંત્રમાં ઉપરથી લઈને નીચે સુધી કેટલી હદે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે, તેની પુરાવો આ પાણી ભરાવાની સમસ્યા જ આપી દે છે. માત્ર એસી ચેમ્બરોમાં બેસીને કાગળ પર આડેધડ પ્લાન ઘડી નાખતા અધિકારીઓ પ્રિમોન્સુન કામગીરીના નામે શહેરીજનોના આંખમાં ધૂળ નાખી રહ્યા છે, તેની સાબિતી આ પાણીથી લથબથ વિસ્તારો આપી રહ્યા છે.
Input Credit- Ronak Varma, Narendra Rathod, Mihir Soni, Harin Matrawadia, Jignesh Patel
Published On - 6:22 pm, Mon, 14 September 26