આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મહામુકાબલો રમાવા જઈ રહ્યો છે. અમદાવાદમાં રમાવા જઈ રહેલી T20 વર્લ્ડ કપની ફાઈનલને લઈને ક્રિકેટ રસિયાઓનો જોશ એક્દમ હાઈ છે. દૂરદૂરથી આજની ફાઈનલને જોવા માટે લોકો સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. ત્યારે દરેક દેશવાસીઓની એક જ પ્રાર્થના છે કે ભારત T20 વર્લ્ડ કપ ટ્રોફી ત્રીજીવાર પણ પોતાને નામ કરે. દરેક દેશવાસી ભારત જીતે તેની પ્રાર્થના કરી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાને ચિઅર અપ કરવા માટે ધોમધખતા તાપની પણ પરવા કર્યા વિના સવારથી લોકો સ્ટેડિયમ બહાર ઉમટી રહ્યા છે. ત્યારે વર્લ્ડ કપની આ નિર્ણાયક મેચ જોવા માટે દ્વારકાથી બાલકૃષ્ણ પણ આવ્યા છે અને તેઓ સ્ટેડિયમમાં પણ જોવા મળશે. દ્વારકાથી આવેલા 7 યુવકોનું એક ગૃપ આજે બાલકૃષ્ણ કનૈયાની મૂર્તિ લઈને સ્ટેડિયમ પહોંચ્યુ છે. દ્વારકાના ગૃપ દ્વારા એવી માનતા રાખવામાં આવી હતી કે ભારત ફાઈનલમાં પહોંચશે, તો કનૈયાને લઈને ફાઈનલ જોવા માટે સ્ટેડિયમ પહોંચશે. તેમની આસ્થા રંગ લાવી છે અને આજે ભારત જ્યારે ફાઈનલમાં પહોંચ્યુ છે ત્યારે તેમને દૃઢ વિશ્વાસ છે કે કાન્હાના આશીર્વાદથી ભારત આ વર્લ્ડ કપ જીતીને જ રહેશે.
દ્વારકાથી આવેલા યુવકોનું કહેવુ છે કે કાનો ટીમ ઈન્ડિયાને મદદ કરશે અને ટીમ ઈન્ડિયા જીતવાની જ છે. ટીમ ઈન્ડિયાને જીતાડવા માટે જ ખાસ તેઓ દ્વારકાધીશને આજે સ્ટેડિયમ લઈને આવ્યા છે. યુગો પહેલા હસ્તિનાપુરના રણમાં કૃષ્ણએ અર્જુનના સારથી બનીને પાંડવોની મદદ કરી હતી તેમ આજે સ્ટેડિયમમાં રહીને કાનો ટીમ ઈન્ડિયાની મદદ કરશે. આ જ આસ્થા સાથે યુવકો ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિને માથા પર બિરાજમાન કરીને સ્ટેડિયમ પહોંચ્યા છે અને તેમની મદદથી ટીમ ઈન્ડિયા જીતશે તેવો તેમને દૃઢ વિશ્વાસ છે.
Input Credit- Narendra Rathod- Ahmedabad
Published On - 3:27 pm, Sun, 8 March 26