
ચોમાસાની શરૂઆત થવાની તૈયારીમાં છે, ત્યારે અમદાવાદ ‘મેટ્રોસિટી’ના અનેક સ્થળોએ પાણી ભરાવાની શક્યતા જોવા મળી રહી છે. મનપા દ્વારા શહેરમાં પાણી ભરાઈ શકે તેવા 147 સ્થળની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી 7 સ્થળ પર હજુ પણ પ્રિ-મોન્સૂન કામગીરી ચાલુ છે.
વધુમાં 12 સ્થળ એવા છે કે, જ્યાં હજુ મનપાનું પ્લાનિંગ માત્ર કાગળ પર જ રહ્યું છે. આ ચોમાસામાં મણિનગર, ન્યૂ મણિનગર અને બંધન પાર્ટી પ્લોટ જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. બીજીબાજુ 7 સ્થળ એવા છે કે, જ્યાં સામાન્ય વરસાદમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદ મનપા દ્વારા હાલમાં કેચપીટ સફાઈનો બીજો રાઉન્ડ ચલાવવામાં આવી રહ્યો છે.
તંત્રનો દાવો છે કે, ગત ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે તેનું પુનરાવર્તન ન થાય તે માટે લાઈટ વિભાગને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. ગત વર્ષે અમદાવાદમાં એવી 147 જગ્યાઓ હતી, જ્યાં વરસાદી પાણીને ઓસરતા 1 કલાકથી વધુનો સમય લાગ્યો હતો. તેમાંથી 39 વોટર લોગિંગ સ્પોટને ગત ચોમાસામાં જ દૂર કરી દેવાયા હતા, જ્યારે બાકી રહેલા 108 સ્પોટમાંથી 7 સ્થળે હજુ પણ કામગીરી અધૂરી છે અને 12 સ્થળ પર હજુ માત્ર પ્લાનિંગ જ થયું છે.
આવી સ્થિતિમાં ચિંતા એ વાતની છે કે, ક્યાંક અમદાવાદીઓને ફરી હાલાકી સહન ન કરવી પડે. બીજી તરફ, જે સ્થળો પર પાણી ઓસરવામાં 8 થી 9 કલાક જેટલો લાંબો સમય લાગતો હતો, ત્યાં કાયમી આયોજન કરવામાં હજુ વધુ સમય લાગી શકે તેમ છે. આથી હાલ પૂરતું મનપાએ ટૂંકાગાળાના આયોજનથી જ સંતોષ માનવો પડ્યો છે.