વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) બે દિવસ ગુજરાતની મુલાકાતે છે.ત્યારે છેલ્લા ઘણા સમયથી અમદાવાદીઓ (Ahmedabad) જેની રાહ જોતા હતા એવી મેટ્રો ટ્રેનની (Metro Train) ભેટ નવરાત્રિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવશે. 30 સપ્ટેમ્બરે એટલે કે આવતીકાલે વડાપ્રધાન મોદી થલતેજથી વસ્ત્રાલ ગામના કોરિડોર પર મેટ્રો ટ્રેનની શરૂઆત કરાવશે. જેને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મેટ્રો ટ્રેનના શુભારંભને લઈ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. CCTVની સુવિધા તેમજ સુરક્ષા માટે પોલીસ જવાનો સ્ટેશનો ઉપર તૈનાત હશે. મેટ્રોના બંને કોરિડોરમાં ટ્રાયલ રન પણ લઈ લેવામાં આવ્યા છે. મેટ્રો ટ્રેન માટેની CMRSની (Commissioner of Metro Rail Safety )પૂર્ણત મંજૂરી માટેની પ્રક્રિયા પણ ચાલી રહી છે.
મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. વસ્ત્રાલ ગામથી થલતેજ સુધી 21 કિલોમીટર જ્યારે વાસણા APMCથી મોટેરા સુધીનો રૂટ 18.89 કિલોમીટરનો છે.. બંને કોરિડોરના 40 કિલોમીટરના રૂટ માટે 32 મેટ્રો ટ્રેન દોડાવાશે. શરૂઆતમાં દર અડધો કલાકે મેટ્રો મળશે અને ડિમાન્ડ વધ્યા પછી દર પાંચ મિનિટે મળતી થશે. દરેક સ્ટેશને મેટ્રો ટ્રેન 30 સેકન્ડ રોકાશે તેમજ જૂની હાઈકોર્ટ પાસેથી આગળ જવા માટે મેટ્રોનો રૂટ બદલી શકાશે.
પ્રથમ સપ્તાહમાં થલતેથી વસ્ત્રાલ ગામ અને APMCથી મોટેરા રૂટ પર એકાંતરે દિવસે મેટ્રો દોડશે. મેટ્રો પરિવહન મુસાફરી માટે શહેરીજનો માટે એક સસ્તો અને ઝડપી વિકલ્પ બની રહેશે. વસ્ત્રાલ ગામથી થલતેજ રિક્ષામાં જઈએ તો 55 મિનિટનો સમય લાગે અને રિક્ષા કે કેબમાં 325 રૂપિયાથી માંડીને 360 રૂપિયા ભાડું થાય. તેની સામે મેટ્રોમાં માત્ર 35 મિનિટમાં પહોંચી જવાશે અને ભાડું પણ માત્ર 25 રૂપિયા થશે. તે જ રીતે એપીએમસીથી મોટેરા સુધી જવા માટે કેબમાં 320 રૂપિયાનું ભાડું થાય જ્યારે રિક્ષામાં 246 રૂપિયા આપવા પડે તેની સામે મેટ્રોમાં માત્ર 25 રૂપિયા જ ભાડું આપવુ પડશે.
21 કિલોમીટર લાંબા પૂર્વ-પશ્ચિમ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદી પરથી પસાર થશે અને જમીનની નીચે ભૂગર્ભમાંથી પણ પસાર થાય છે. શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે. મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. હાલના સમયમાં જો વાહન લઈને શાહપુરથી કાંકરિયા જવું હોય તો દિલ્હી દરવાજા, કાલુપુર, સારંગપુર અને કાંકરિયા ઝૂ તરફ જતાં 30 મિનિટ થાય, પરંતુ મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે
(With Input, Sachin Patil, Ahmedabad)
Published On - 5:00 pm, Thu, 29 September 22