Ahmedabad: રથયાત્રાની તડામાર તૈયારી, વ્યવસ્થા માટે સમીક્ષા બેઠક યોજાઈ, હર્ષ સંઘવી પણ આજે સુરક્ષાની સમીક્ષા કરશે
જગન્નાથ મંદિરથી સરસપુર અને સરસપુરથી જગન્નાથ મંદિરના રૂટ પર નિરીક્ષણ કરી સમીક્ષા કરવામાં આવી હતી. સાથે સાથે રથયાત્રા રૂટ પર આવતા જર્જરિત મકાનો દૂર કરવાની કામગીરી માટે પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ (Ahmedabad) માં રથયાત્રા (Rathyatra) ની તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે. રથયાત્રા દરમિયાન વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરમાં સમીક્ષા બેઠક મળી હતી. જેમાં મેયર કિરીટ પરમાર સહિત AMCના હોદ્દેદારો સાથે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જગન્નાથ મંદિરથી સરસપુર અને સરસપુરથી જગન્નાથ મંદિરના રૂટ પર નિરીક્ષણ કરી સમીક્ષા કરવામાં આવી હતી. સાથે સાથે રથયાત્રા રૂટ પર આવતા જર્જરિત મકાનો દૂર કરવાની કામગીરી માટે પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) પણ આજે જગન્નાથ મંદિરે જવાના છે અને તેઓ ત્યાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે.
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. રથયાત્રા રૂટ પર સુરક્ષાને લઈને સહેજ પણ કચાસ ના રહે તે માટે આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, બી.ડી.ડી.એસ, ડોગ સ્કોર્ડ અને સ્થાનિક પોલીસ દ્વારા રૂટ પર પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. સાથે જ સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન મારફતે ધાબા ચેકીંગ હાથ ધર્યું હતું. બીડીડીએસ અને ડોગ સ્કોર્ડ દ્વારા મંદિર પરિસર અને ત્રણે રથનું જીણવટ પૂર્વક ચેકીંગ કર્યું હતું. સાથે જ સવેદશીલ વિસ્તારમાં બીડીડીએસ અને ડોગ સ્કોર્ડ ચેકિંગ હાથ ધર્યું હતું.
ગુજરાત એટીએસ અને ચારેય મોટા શહેરોની ક્રાઇમ બ્રાન્ચ તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ ગુપ્ત સર્વેલન્સ દિવસો પહેલા જ શરૂ કરી દીધુ છે. રાજ્યમાં તમામ શકમંદ વ્યક્તિઓને પોલીસની નજર સ્કેન કરી રહી છે. આવા સંજોગમાં રથયાત્રા દરમિયાન અસામાજીક તત્વોને ડામી દેવા પોલીસે ખાસ પ્રકારના એક્શન પ્લાન પણ તૈયાર કર્યા છે. અત્યાધુનિક ગન અને ડ્રોનના ઉપયોગ ઉપરાંત ગુપ્તચર વિભાગ પણ અત્યારથી એલર્ટ મોડ પર આવી ગયું છે. પોલીસે જીપીએસ સિસ્ટમ અને આખી રથયાત્રાના રૂટ પર સીસીટીવી દ્વારા સર્વેલન્સ કરવાનો પ્લાન પણ ઘડી કાઢ્યો છે. જેમાં 400 જેટલા બોડી ઓન કેમેરાથી વોચ રાખવામાં આવશે.
રથના રીપેરિંગ અને રંગરોગાન શરૂ
અમદાવાદમાં રથયાત્રા રથની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે ત્યારે રથના રીપેરિંગનું કામ શરૂ થયું છે. રથયાત્રા પહેલા શરૂ કરવામાં આવેલા સમારકામમાં રંથનું રંગરોગાન પણ કરાય છે. તેમજ નગરના નાથ નગરચર્યાએ નિકળશે તે રથ હવે આવતા વર્ષે નવા રૂપમાં પણ જોવા મળશે. માટે આ વર્ષે છેલ્લીવાર આ રથમાં ભગવાન બિરાજમાન થશે.