અમદાવાદના મોટેરામાં આવેલી અંજલી જ્વેલર્સ (Anjali Jewelers)માં કરોડોના દાગીનાની લૂંટની ઘટના બની. જ્વેલર્સમાં કામ કરતા કર્મચારીઓએ જ જ્વેલર્સ (Jewelers)ના માલિકને બંધક બનાવી લૂંટ (Loot)ને અંજામ આપ્યો હતો. આરોપીઓ કરોડો રૂપિયાના દાગીના લઈને ફરાર થઈ ગયા. સુનિલ ઉર્ફે સુરેન્દ્રસિંહ ઝાલા અને ચિરાગ નાયક નામના કર્મચારીએ લૂંટ ચલાવી. સુનિલ ઝાલા બનાસકાંઠાનો રહેવાસી છે. જ્યારે ચિરાગ મહેસાણાનો વતની છે. સુનિલ અંજલી જ્વેલર્સમાં પાંચ વર્ષથી નોકરી કરતો હતો અને ચિરાગ એક વર્ષથી નોકરી કરતો હતો.
લૂંટનો પ્રિપ્લાન ઘડ્યો હોવાથી આરોપીઓએ સીસીટીવી કેમેરા પણ કાઢી લીધા હતા. ચાંદખેડા પોલીસે FSLની મદદથી તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ધનતેરસે મધરાતે કર્મચારીઓએ આ લૂંટને અંજામ આપ્યો હતો. માલિકે મુકેલા વિશ્વાસનો કર્મચારીઓએ વિશ્વાસઘાત કર્યો હતો અને દાગીના લૂંટીને ફરાર થઈ ગયા.
રાત્રિના સમયે 2થી3 વાગ્યા આસપાસ જ્વેલર્સની પાછળ રહેલા રૂમમાં માલિક મહેશ શાહને પૂરી દેવામાં આવ્યા હતા. જ્વેલર્સમાં ડિસપ્લેમાં રાખવામાં આવેલા તમામ દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતા. જ્વેલર્સ માલિકના જણાવ્યા મુજબ ત્રણ કિલો જેટલા સોના ચાંદીના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા. આશરે 1.5 કરોડથી વધુનો મુદ્દામાલ આ બંને કર્મચારીઓ લૂંટીને ફરાર થઈ ગયા હતા.
શેઠ અંદર જતાં જ સુરેન્દ્ર અને ચિરાગે તેમને સ્ટ્રોંગ રૂમમાં બહારથી બંધ કરી દીધા હતા. શેઠને બંધ કરીને દુકાનમાં પડેલા સોનાના 3 કિલો દાગીનાની બંને કારીગરોએ લૂંટ કરી દીધી હતી. દુકાનના માલિક રૂમમાં બંધ હતા. મહેશભાઈ શાહ આખી રાત ઘરે ન આવતા તેમજ ફોન ન ઉપાડતા તેઓના પત્નિ સવારે 7 વાગે શો રૂમે પહોંચ્યા હતા.
શો રૂમમાં જઈને જોતા તમામ દાગીનાઓ ગાયબ હતા અને અંદરની તરફ આવેલા લોકરના સ્ટ્રોંગ રૂમમાં મહેશભાઈ શાહને બંધક બનાવવામાં આવ્યા હોવાનું ધ્યાને આવતા પરિવારજનો અને પોલીસને જાણ કરવામા આવી હતી. આ ઘટનાની જાણ થતા ચાંદખેડા પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને FSL ની મદદ લઈને તપાસ શરૂ કરી હતી. અંદાજે 3 કિલો સોનાના દાગીના અને 5 લાખ રોકડ રકમની ચોરી થતા પોલીસની સાથે ક્રાઈમબ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી.