અમદાવાદના સાણંદમાં ડેપ્યુટી કલેક્ટર રાજેન્દ્ર પટેલે પાંચમાં માળેથી પડતુ મુકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ચૂંટણી પહેલા જ પ્રાંત અધિકારીની આત્મહત્યાથી સનસનાટી મચી ગઈ છે. આ તરફ પરિવારે આત્મહત્યા નહીં પરંતુ હત્યાને આક્ષેપ કર્યો છે. આ વિવાદ વચ્ચે ડેપ્યુટી કલેક્ટર પાસેથી મળેલી શંકાસ્પદ પેન ડ્રાઈવ અને દસ્તાવેજને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતક ડેપ્યુટી કલેક્ટર ડિપ્રેશનમાં હતા કે કામનુ ભારણ વધુ રહેતુ હતુ કે કોઈ અંગત કારણોસર તેમણે આ પ્રકારનું આત્મઘાતી પગલુ ભર્યુ તે દરેક પાંસાઓને આવરી લઈ પોલીસ તપાસ કરી રહી છે.
સાણંદમાં આવેલી નિર્મિત ફ્લોરા સોસાયટીના પાંચમા મળેથી કોઈ વ્યક્તિએ નીચે પડી આત્મહત્યા કરી હોવાની વિગત સ્થાનિક લોકોએ પોલીસને આપી હતી. સોસાયટીનું મેનેજમેન્ટ કરી રહેલા રાજેન્દ્રસિંહ વાઘેલાએ સુસાઈડ કરનાર વ્યક્તિ અંગે તપાસ કરતા તેમના ખિસ્સામાંથી આઈકાર્ડ મળી આવ્યું હતું. તેઓ સાણંદ ડેપ્યુટી કલેકટર અને SDM રાજેન્દ્ર પટેલ હોવાનું જાણવા મળતા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલ્યો હતો અને આપઘાતની તપાસ માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા તો ઘરે લોક હતું.
સાણંદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા મૃતક પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પરંતુ બે મોબાઈલ અને એક પેન્ડ્રાઈવ મળી આવી છે સાથે જ તેઓ ઇડરના વતની હોવાનું અને રાજેન્દ્ર પટેલ 15 દિવસ અગાઉ જ નિર્મિત ફ્લોરા ફ્લેટમાં રહેવા આવ્યા હોવાની વિગત તપાસમાં મળી હતી. જ્યારે તેમનું પીએમ ચાલી રહ્યું હતું ત્યારે તેમણે આપઘાત નહિ પણ કોઈએ તેમને ધક્કો મારી હત્યા કરી હોવાનો આક્ષેપ તેમના પરિવારજનોએ કર્યો છે કારણ કે ડેપ્યુટી કલેકટર રાજેન્દ્ર પટેલ ચૂંટણીને લઈને મોડી રાત સુધી કામ કર્યું હતું. રાજેન્દ્ર પટેલએ સવારે 9 વાગે ડ્રાઇવરને ઓફિસ જવા માટે ફોન કરીને બોલાવ્યો હતો અને ગણતરીની મીનીટોમાં તેઓ ધાબા પરથી પડતું મૂકીને આપઘાત કેવી રીતે કરે ? રાજેન્દ્ર પટેલ ઓફિસ જવા માટે તૈયાર થઈને બેઠા હતા. તેમના બે મોબાઇલ, ખિસ્સામાં પેન અને એક પેન ડ્રાઇવ મળી આવી. તેમની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરીને પરિવારે ન્યાયિક અને તટસ્થ તપાસની માંગ કરી છે.
ડેપ્યુટી કલેકટર અને SDM રાજેન્દ્ર પટેલ 2011 ની બેન્ચમાં મામલતદાર હતા. અગાઉ તે પાલનપુરમાં SDM હતા. છેલ્લા ઘણા વર્ષોથી અંબાજી મંદિરના વહીવટદાર હતા. ચૂંટણીલક્ષી બદલીમાં તેમની બદલી સાણંદ પ્રાંત અધિકારી તરીકે થઈ હતી. તેઓને 2 દીકરી અને એક દીકરો છે. તેમનો પરિવાર પાલનપુર રહે છે. જ્યારે બદલી બાદ તેઓ એકલા સાણંદ રહેવા આવી ગયા હતા. રાજેન્દ્ર પટેલ ડિપ્રેશનમાં રહેતા હોવાની ચર્ચા થઈ રહી છે. પરંતુ ડિપ્રેશન નું કારણ શું હતુ? રાત દિવસ ચૂંટણીના કામનું ભારણ કે કોઈ નું દબાણ હતું તે હાલ માત્ર સવાલો જ છે. તેમની પાસેથી સ્યુસાઇડ નોટ મળી નથી પરંતુ 2 પેન ડ્રાઈવ મળી છે. આ પેન ડ્રાઈવ માં શું છે. SDM પર કોઈ કામને લઈને દબાણ હતું કે પછી પારિવારિક તણાવ હતો. આ તમામ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી તેમનો આખો પરિવાર અને પરિચિત લોકો વિશ્વાસ નથી કરી રહ્યા કે આ રીતનું પગલું ભર્યું હોઇ શકે કારણકે ખૂબ સારા અધિકારી તરીકે તેમની ઓળખ હતી.
SDM ના ચકચારી આપઘાત કેસમાં પોલીસે પેનલ ડોકટરની મદદથી વીડિયોગ્રાફી સાથે પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. આ ઉપરાંત FSLની મદદથી ઘટના સ્થળે તપાસ શરૂ કરી છે. આ હત્યા છે કે આત્મહત્યા એ તો પીએમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
Published On - 6:31 pm, Tue, 22 November 22