અમદાવાદમાં(Ahmedabad) પૂર્વ વિસ્તારમાં ગુનેગારો ફરી વાર બેફામ બન્યા છે. શહેરના કુબેરનગર(Kubernagar) વિસ્તારમાં મોજશોખ અને પાર્ટી કરવા માટે પૈસાની જરૂર હોવાથી 4 યુવકોએ એક રાહદારીને રોકી મોબાઈલ અને રોકડની લૂંટ કરી હતી. જો કે ઝપાઝપી દરમિયાન યુવકનું મોત(Death) થતા પોલીસે ગુનામાં સામેલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. 3 ઓગસ્ટના દિવસે રામકુમાર નામનો વ્યક્તિ છારાનગર તરફથી તીર્થરાજ સોસાયટી નજીક પસાર થઈ રહ્યો હતા. આ દરમિયાન આરોપીઓએ મૃતકને જોઈને તેને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો.. આરોપીઓએ મૃતક રામકુમારને પકડી લીધો અને તેનું પાકીટ અને મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો. આ દરમિયાન રામકુમારે ગળામાં સોનાનું પેન્ડલ પહેર્યું હોવાથી તે લૂંટવા જતા મૃતકે આરોપીઓને ધક્કો મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે ઝપાઝપી દરમિયાન રામકુમાર દીવાલ પરથી નીચે પડતા હેમરેજ થતા તેનું મોત નીપજ્યું હતું.આ ઘટના બાદ બીજા દિવસે સવારે તીર્થરાજ એપાર્ટમેન્ટના રહીશોએ મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. પોલીસે પહેલા અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી હતી, મૃતદેહનાં પ્રાથમિક પીએમ રિપોર્ટમાં હેમરેઝથી મોત થયું હોવાનું ખુલ્યું હતું, જોકે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરતા મૃતક અને આરોપીઓને ઓળખતા એક વ્યક્તિએ પોલીસને માહિતી આપી હતી કે ઘટનાના દિવસે આરોપીઓ મૃતકની પાછળ પીછો કરી રહ્યા હતા જેથી પોલીસે ગુનામાં સામેલ 4 માંથી 3 આરોપીઓને દબોચી લીધા છે. જોકે આ ગુનામાં સામેલ ફરાર આરોપી સાહિલને પકડવા તજવીજ તેજ કરાઈ છે.
મોજશોખ માટે લૂંટ અને હત્યાને અંજામ આપનાર આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી જેમાં આરોપીઓ દારૂનો નશો કરતા હોવાથી પૈસાની જરૂર પડતા આ કૃત્ય કર્યું હોવાનું કબુલ્યું છે. જોકે આ આરોપીઓએ અગાઉ કોઈ ગુનાનો અંજામ આપ્યો છે કે કેમ તે તો પોલીસ તપાસમાં જ સામે આવશે.
Published On - 9:29 pm, Sun, 7 August 22