અમદાવાદ મહાનગર પાલિકાનું(Ahmedabad)અંદાજે 9000 કરોડનું બજેટ હોવા છતાં પ્રજાને પ્રાથમિક સુવિધાઓ સારી રીતે પુરી પાડવા બાબતે વહીવટી તંત્ર તથા સત્તાધારી ભાજપ નિષ્ફળ ગયો હોવાનો વિપક્ષ આક્ષેપ કરે છે. તેમજ લોકો પણ નાગરિક સુવિધાથી ( Facility) ત્રસ્ત હોવાની પણ વિગતો પણ સામે આવી છે. જેમાં તા 15-08-2022 થી તા 28-08-2022 સુધીમાં એટલે કે માત્ર 14 દિવસમાં પ્રજા દ્વારા અમદાવાદ કોર્પોરેશનની ઓનલાઇન કમ્પલેઇન(Online Complaint)કરવા માટેના નંબર 155303 ઉપર પ્રજા દ્વારા 33249 જેટલી ફરિયાદો કરવામાં આવી છે. આ દિવસો દરમ્યાન માત્ર 18309 જેટલી ફરિયાદો કલોઝ કરી દેવામાં આવેલ છે તેમાંથી મોટાભાગની ફરિયાદોનો નિકાલ કર્યા વગર જ કલોઝ કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જયારે ઉપરોક્ત ફરિયાદો પૈકી 16106 જેટલી ફરિયાદો માત્ર એન્જીનીયરીંગ વિભાગની છે. આ આંકડો માત્ર ઓનલાઇન ફરિયાદોનો છે ત્યારે ઓફલાઇન એટલે કે રૂબરૂ ફરિયાદો કરી હોય તેની સંખ્યા જોડવામાં આવે તો ફરિયાદોની સંખ્યા કયાં પહોંચી હશે તે વિચારણા માંગી લે તેવી બાબત છે
આ ઉપરોક્ત આંકડાકીય માહીતી પરથી કહી શકાય કે કોર્પોરેશન દ્વારા નાગરિકોને સગવડ આપવાને બદલે અગવડતામાં વધારો થતો જાય છે. તેમજ શહેરના નાગરિકો સુવિધા મેળવવાના મુદ્દે ત્રાહીમામ પોકારી ગયા છે. આ ફરિયાદોમાં જોવા જઇએ તો ઘણી જગ્યાએ પાણીનું ઓછું પ્રેશર છે તો અમુક વિસ્તારમાં પાણી બિલકુલ મળતું નથી વરસાદી પાણીના નિકાલની પૂરતી સગવડ નથી અડધો ઇંચ વરસાદમાં અમુક વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામે છે. જયારે ગટરો ઉભરાવવાની અસંખ્ય ફરિયાદો ઉભી થાય છે. આ ઉપરાંત ઠેરઠેર કચરાના ઢગલા દેખાય છે. તેમજ અન્ય ફરિયાદમાં સફાઇકામ નિયમિત થતું નથી અસંખ્ય રસ્તાઓ ઉપર ખોદકામ કરવામાં આવેલ છે ત્યારબાદ ખાડા પુરવા કે રીસરફેસીગ તાકીદે થતું નથી.
જયારે હાલ ચોમાસામાં મોટા ભાગના રોડ તુટી જવા પામેલ છે. તેમજ ગરીબ તથા મધ્યમવર્ગના લોકોને પ્રાથમિક સુવિધા નિયમિત મળતી નથી કોન્ફરન્સો,મીટીંગો અને ચર્ચાઓ બહોળા પ્રમાણમાં કરવા તેમજ પ્રાથમિક સુવિધાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચવા છતા નાગરિકોને સમયસર સુવિધાઓ મળતી નથી. જેના પગલે નાગરિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમજ ટેક્સ ભરવા છતાં પણ નાગરિક સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું હોવાનો પણ આક્ષેપ નાગરિકો કરી રહ્યા છે.
Published On - 5:41 pm, Tue, 30 August 22