Ahmedabad : PSI ભરતી વિવાદમાં સિંગલ જજના હુકમને ઉમેદવારોએ ડિવિઝન બેન્ચ સમક્ષ પડકાર્યો, 15 જૂને વધુ સુનાવણી હાથ ધરાશે
ગુજરાતમાં પીએસઆઇની ભરતીની(PSI Recruitment) પ્રિલીમ પરીક્ષાના પરિણામમાં દરેક કેટેગરીમાં ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાની માંગ સાથે અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં ડિવિઝન બેન્ચ સમક્ષ ફરીથી રજૂઆત કરી છે
ગુજરાતમાં પીએસઆઇ સીધી ભરતી(PSI Recruitment) પ્રક્રિયા વિવાદ મામલે અરજદાર(Candidate)પરીક્ષાર્થીઓ લડી લેવાના મુડમાં જણાઈ રહ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) સીંગલ જજની બેન્ચે અરજદારોની અરજી ફગાવી દીધી હતી અને ભરતી બોર્ડની ભરતી કાર્યવાહી યોગ્ય ગણાવી હતી. જોકે હવે અરજદારોએ સિંગલ જજના હુકમને ગુજરાત હાઇકોર્ટમાં જ ડિવિઝન બેન્ચ સમક્ષ પડકાર્યો છે આ મામલે વધુ સુનાવણી 15મી જૂને હાથ ધરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટમાં ડિવિઝન બેન્ચ સમક્ષ ફરીથી રજૂઆત
રાજ્યમાં પીએસઆઇની ભરતીની પ્રિલીમ પરીક્ષાના પરિણામમાં દરેક કેટેગરીમાં ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાની માંગ સાથે અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં ડિવિઝન બેન્ચ સમક્ષ ફરીથી રજૂઆત કરી છે. બે દિવસ પહેલાંજ એટલે કે 8 જૂને ગુજરાત હાઇકોર્ટના સિંગલ જજની બેન્ચે અરજદારોની અરજીને ફગાવી દીધી હતી. સિંગલ બેન્ચના જજ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.
જેમાં પ્રિલીમ પરીક્ષામાં મેરીટ પ્રમાણે ઓપન કેટેગરીમાં બોલાવવાની સરકારની પદ્ધતિ યોગ્ય છે. કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે ઓપન કેટેગરી તમામ ઉમેદવારો માટે ખુલ્લી છે. આનામત કેટેગરીમાં આવતા ઉમેદવારના મેરિટમાં સારા માર્ક્સ હોય તો એ જનરલ કેટેગરીમાં આવી શકે. જનરલ કે બિનઅનામત કેટેગરીનો અર્થ એ નથી કે તેમાં મેરીટ વાળા અનામત બેઠકના ઉમેદવાર ના સમાવી શકાય, તેમ પણ કોર્ટે નોંધ્યું હતું.
અરજદારોની રજુઆત
સમગ્ર ઘટનાની વાત કરીએ તો PSIની પરીક્ષામાં દરેક કેટેગરીના પાસ થયેલા ઉમેદવારોના ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાના નિયમનું પાલન થયું નથી, તેવી ફરિયાદ સાથે કોર્ટમાં અરજી થઈ હતી. જો કે હાઇકોર્ટની સિંગલ બેન્ચે આ અરજી રદ કરી હતી. જ્યારે ઉમેદવારોની માંગ છે કે GPSC પેટર્ન પ્રમાણે જે-તે કેટેગરી પ્રમાણે એટલે કે ST,SC OBC અને બિનઅનામત વર્ગના ઉમેદવારોની કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવો જોઇએ એવી અરજદારોની રજુઆત છે.
ઉમેદવારોની ફરિયાદ છે કે જનરલ કેટેગરીની બેઠકો જ ઓછી કરી દેવાઈ છે.
તો સાથે જ પ્રિલીમ પરીક્ષાના પરિણામમાં મેરીટ વાળા અનામત કેટેગરીના ઉમેદવારોનું જનરલ કેટેગરીમાં માઈગ્રેશન ના થઇ શકે, માત્ર મેઈન એક્ઝામમાં જ આ નિયમ લાગુ પડી શકે એવી પણ રજુઆત છે.ભરતી બોર્ડે તમામ કેટેગરી મળીને 3 ગણા ઉમેદવારોનો મેરીટમાં સમાવેશ કર્યો છે. ઉમેદવારોની ફરિયાદ છે કે જનરલ કેટેગરીની બેઠકો જ ઓછી કરી દેવાઈ છે. એક્સ આર્મીમેનને પણ આ ભરતી પ્રક્રિયામાં થયેલ અન્યાય મુદ્દે પણ રજૂઆત કરાઈ છે.