અમદાવાદના બિલિયોનેર સ્ટ્રીટ વિસ્તારમાં કમરસમા પાણીમાં ઉતરી મુખ્યમંત્રીએ સ્થિતિની કરી સમીક્ષા- જુઓ Video

અમદાવાદના ન્યુ ડેવલપ્ડ વિસ્તાર બિલિયોનેર સ્ટ્રીટમાં 4થી 5 ફુટ સુધી પાણી ભરાયા છે. સોસાયટીની રહીશો બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અહીં ગ્રાઉન્ડ ઝીરો પર કમરસમા પાણીમાં ઉતરી સ્થિતિની સમીક્ષી કરી, સોસાયટીના રહીશો સાથે વાતચીત કરી તેમની સમસ્યા જાણી અને ઝડપી કામગીરીનું આશ્વાસન આપ્યુ હતુ.

| Edited By: | Updated on: Jul 24, 2026 | 2:20 PM

અમદાવાદના અતિ પોશ અને મોંઘાદાટ ગણાતા બિલિયોનેર સ્ટ્રીટમાં ભારે જળભરાવની સમસ્યા વચ્ચે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીં મુલાકાત લીધી.  હાલ વિસ્તારમાં આર્મીએ મોરચો સંભાળ્યો છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સ્થિતિની સમીક્ષા માટે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા છે. મુખ્યમંત્રીની સાથે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ પહોંચ્યા છે. અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસી જતા બિલિયોનેર સ્ટ્રીટ વિસ્તારમાં 4 થી 5 ફુટ સુધી પાણી ભરાઈ ગયા છે અને અહીં રહેતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદના બહુ નામી ધનાઢ્ય વ્યક્તિઓના અહીં બંગલો આવેલા છે. 25-30 કરોડના બંગલોમાં પણ જો પાણી ભરાઈ જતા હોય તો શહેરની ડ્રેનેજ વ્યવસ્થા કઈ રીતે કામ કરતી હશે તેનો તાગ મેળવી શકાય છે. આ જ કારણ છે કે લોકોની મોંઘીદાટ કાર પણ આ પાણીમાં બંધ થઈ જતા અહીં રહેતા સ્થાનિકોનો આક્રોશ ફુટી નીકળ્યો હતો અને તેઓ પણ કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉઠાવતા જોવા મળ્યા હતા.

ગુરુવારે પણ Tv9 દ્વારા આ વિસ્તારના લોકોની હાલાકીને દર્શાવતો પળેપળનો અહેવાલ પ્રસારીત કરાયો હતો અને લોકોની સમસ્યાને વાચા આપવામાં આવી હતી. આ જ કારણ છે કે ખુદ મુખ્યમંત્રીએ આજે આ વિસ્તારમાં આવવુ પડ્યુ છે અને સોસાયટીના રહીશોને મળીને તેમની સમસ્યા વિશે જાણકારી મેળવતા જોવા મળી રહ્યા છે. હાલ ગ્રાઉન્ડ ઝીરો પર CM એ ખુદ ઉતરીને જાણવાનો પ્રયાસ કર્યો છે કે કઈ હદે અહીં જળભરાવની સમસ્યા છે.

મુખ્યમંત્રી સોસાયટીમાં પ્રવેશ્યા ત્યારે તેઓ પણ ખુદ ઘૂંટણ થી પણ ઉપર સુધી પાણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા. અમદાવાદમાં વરસેલા મુશળધાર વરસાદમાં આ વિસ્તારની જે કફોડી સ્થિતિ થઈ છે તેને જોતા જ સ્પષ્ટ થઈ રહ્યુ છે કે અહીં ડ્રેનેજની જોઈએ તેવી વ્યવસ્થા નથી. જો થોડી પણ વ્યવસ્થા હોત તો આ પ્રકારે અહીં પાણી ભરાયેલા ન રહ્યા હતા. બેશક, અમદાવાદમાં સિઝનનો 45 % જેટલો વરસાદ એકસામટો વરસી ગયો છે તો એકસાથે પાણીનો નિકાલ ન થાય, ધીમે ધીમે પાણી ઓસરે પરંતુ પાર્ટીક્યુલરલી જો આ જ વિસ્તારની વાત કરવામાં આવે તો અહીં પાણી ઓસરી જ નથી રહ્યા.

ગઈકાલે વરસાદમાં જે પાણી ભરાયેલા હતા તે હજુ એ જ સ્થિતિમાં છે. પાણીનો ઝડપી નિકાલ નથી થઈ રહ્યો અને આજ કારણ છે કે અહીં રહેતા એલિટ ક્લાસના લોકોનો રોષ ભભુકી રહ્યો છે. સેન્ટોસા પાર્ક સોસાયટીના રહીશોએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી અને તેઓ પણ તેમને એજ કહેતા જોવા મળ્યા હતા કે જો આ જ હાલાકી સહન કરવાની હોય તો આટલો તોતિંગ ટેક્સ ચુકવવાનો કોઈ મતલબ નથી રહેતો. એક તરફ શહેરનો સૌથી મોંઘો વિસ્તાર અને સૌથી વધુ ટેક્સ ભરતા લોકો અહીં રહે છે, ત્યારે તેમને જો એ પ્રકારની સુવિધા ન મળે તો તેમનું રોષે ભરાવુ વાજબી પણ છે. આ લોકોનું સ્પષ્ટ કહેવુ છે કે આ પ્રકારની હાલાકી સહન કરવા માટે તો તેમણે આટલા કરોડો રૂપિયા ખર્ચીને અહીં મકાનો નથી જ ખરીદ્યા. છેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તારમાં આ જ પ્રકારે પાણી ભરાય છે ત્યારે હવે આ લોકોની સહનશક્તિની હદ આવી ગઈ છે. હાલ તો આર્મી અહીં મોરચો સંભાળી રહી છે અને ખુદ મુખ્યમંત્રી દ્વારા પણ લોકોને આશ્વાસન આપવામાં આવ્યુ છે ત્યારે જોવુ રહ્યુ કે તેમની સમસ્યાનો અંત ક્યારે આવે છે.

Input Credit- Narendra Rathod- Ahmedabad

 

અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, આર્યન બંગલો હરીવિલા એપાર્ટમેન્ટ, શાયોના દર્શન માં કમર સુધી પાણી ભરાયા- Video

Follow Us