કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી 1200 બેડની હોસ્પિટલમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. 1200 બેડની હોસ્પિટલમાં કોરોનાના દાખલ દર્દીઓ માટે 21 લાખના ખર્ચે 15 હજાર ટર્કીશ ટોવેલ ખરીદવામાં આવ્યા છે. પરંતુ દર્દીઓને ટોવેલ આપવામાં આવ્યા નથી. ટોવેલ આપવાના નામે લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
કોરોનાકાળમાં સિવિલ કેમ્પસમાં આવેલી 1200 બેડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી હતી. જેમાં કોરોનાકાળમાં 44 હજાર દર્દીઓ દાખલ થયા હતા. જેમાં દાખલ થતા કોરોનાગ્રસ્ત દર્દીઓને એક કીટ આપવામાં આવતી હતી. જેમાં રૂમાલ, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, ઉલિયુ, માસ્ક, ડોલ આપવામાં આવતી હતી. આરટીઆઇમાં માંગવામાં આવેલી માહિતીમાં ખુલાસો થયો છે કે એપ્રિલ 2020થી એપ્રિલ 2021 સુધીમાં દર્દીઓને આપવા માટે 65.32 લાખના ખર્ચે 32695 બેડશીટ ખરીદવામાં આવી હતી.
જેની એક નંગની કિંમત 197 રૂપિયા છે. એપ્રિલ 2020થી નવેમ્બર 2020 સુધીમાં આઠ મહિના દરમ્યાન 143 રૂપિયાની કિંમતના 15200 ટર્કીશ ટોવેલ 20.67 લાખના ખર્ચે ખરીદવામાં આવ્યા હતા. પરંતુ દર્દીઓને કિટમાં ટોવેલ આપવામાં આવતા નહોતા તેવો ખુલાસો થયો છે. 20.67 લાખના ટર્કીશ ટોવેલ ખરીદ્યા પણ દર્દીઓને નહીં આપીને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરટીઆઇમાં ખુલાસો થયો છે. આ અંગે સિવિલ સુપરીટેન્ડે જણાવ્યું હતું કે કોઈ ગેરરીતિ કરવામાં આવી નથી. તમામ દર્દીઓને કિટમાં ટોવેલ સહિતની વસ્તુઓ આપવામાં આવતી હતી. જો ગેરરીતિ થઈ હશે તો તેની તપાસ કરવામાં આવશે.
દર્દીઓને કિટમાં રૂમાલ, ટૂથપેસ્ટ, બ્રશ, ડોલ, કાંસકો સહિતની વસ્તુઓ આપવામાં આવતી હતી. કોરોનાકાળમાં સિવિલ 1200ની હોસ્પિટલમાં દર્દીઓને સેવા આપનાર સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે પણ ટોવેલ આપવામાં આવ્યા હોય તેવું જાણવા મળ્યું નથી. તો લાખો રૂપિયાના ટોવેલ ખરીદવામાં આવ્યા અને આપ્યા નથી તો આ ટોવેલ ક્યાં ગયા તેની તટસ્થ તપાસ કરવાની માગ કરવામાં આવી છે. તો બીજી તરફ મણિનગરના 70 વર્ષના કિશોર ખામ્બેટેને કોરોના થતા 2 જાન્યુઆરી 2021ના રોજ 1200 બેડમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને 8 જાન્યુઆરીના રોજ રજા આપવામાં આવી હતી. કિશોર ખામ્બેટેએ સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી કિટની વસ્તુઓ યાદગીરી રૂપે સાચવી રાખી છે. જેમાં ટર્કીશ ટોવેલ પણ છે. કિશોર ખામ્બેટેએ જણાવ્યું હતું કે મને ટોવેલ સહિત તમામ વસ્તુઓ આપવામાં આવી હતી અને મારી સાથે દાખલ તમામ દર્દીઓને ટોવેલ આપવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે 1200 બેડની હોસ્પિટલમાં 44 હજાર દર્દીઓને ઓપીડીમાં સારવાર આપવામાં આવી હતી. જ્યારે દર્દીઓને આપવા માટે 15200 ટોવેલ ખરીદવામાં આવ્યા હતા. ત્યારે આરટીઆઇમાં માંગવામાં આવેલી માહિતીમાં આ ખુલાસો થયો છે. જો આ બાબતે તપાસ કરવામાં આવે તો જ સત્ય બહાર આવશે.
આ પણ વાંચો : RAJKOT : મોંઘીદાટ કારની પળભરમાં ઉઠાંતરી, પાર્ક કરેલી કાર ગઠીયો ચોરી ગયો, જુઓ વિડીયો
આ પણ વાંચો : New Year 2022: ભારતમાં 12 વાગ્યે શરૂ થશે ઉજવણી, પરંતુ આ દેશોમાં ભારત પહેલા જ મનાવાશે ન્યૂ યર