Ahmedabad: શહેરના બદલાયેલા વાતાવરણ વચ્ચે આપઘાતના કેસમાં સતત વધારો, સાબરમતી નદીમાં એક જ દિવસે પાંચ લોકોએ પડતું મૂક્યું, 4 લોકોના મોત !
જે લોકો તીવ્ર હતાશામાં હોય છે તેઓ અન્યના આપઘાત જોઈને આપઘાત કરી લેતા હોય છે. તેને મનોવૈજ્ઞાનિક ભાષામાં કોપી કેટ સ્યૂસાઇડ કહે છે. ખાસ તો વાદળછાયા વાતાવરણ દરમિયાન વ્યક્તિઓ આવું આત્યંતિક પગલું ભરી લેતા હોય છે.

અમદાવાદની સાબરમતી નદી આમ તો રિવરફ્રન્ટ અને તેની સુંદરતાના કારણે જગવિખ્યાત છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી સાબરમતી નદી સ્યુસાઈડ પોઈન્ટ બની છે. આજે વહેલી સવારથી જ સાબરમતી નદીમાં પાંચ અલગ-અલગ આપઘાતની ઘટના સામે આવી છે. જેમાંથી 4 લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. આર્થિક તેમજ માનસિક કે અન્ય અંગત સમસ્યાઓથી પીડાતા લોકો વિવિધ કારણોસર મોતને વ્હાલું કરી રહ્યા છે ત્યારે એક જ દિવસમાં સાબરમતીમાં 5 લોકોએ પડતું મૂકતા ચકચાર મચી ગઈ હતી.
ફાયરબ્રિગેડને પાંચ કલાકમાં પાંચ કોલ મળ્યા
અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ફાયર વિભાગને આપઘાતની ઘટના અંગે જુદા જુદા પાંચ કલાકમાં પાંચ કોલ મળ્યા હતા. જેમાંથી ચાર મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા અને એક વ્યક્તિનો જીવ બચાવવામાં ફાયર બ્રિગેડને સફળતા મળી હતી. એલિસબ્રિજ ઉપરથી નદીમાં જમ્પ મારનાર યુવકને ફાયરબ્રિગેડે બચાવી લીધો છે.
તેમજ આંબેડકર બ્રિજ પાસે એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. તો સુભાષ બ્રિજ નારાયણ ઘાટ પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો છે. તેમજ સપ્તર્ષિના આરા પાસે તથા ઉસ્માનપુરા બગીચા પાસે પણ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર બ્રિગેડે નદીમાંથી મૃતદેહ કાઢી પોલીસને સોંપ્યા છે. સમગ્ર મામલે પોલીસે આપઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે જાણીતા મનોચિકિત્સક પ્રશાંત ભીમાણીએ જણાવ્યું હતું કે સ્થળ ગમે તેટલું સુંદર હોય પરંતુ હતાશ વ્યક્તિનું મન દ્વિધા તથા હતાશામાં હોય છે અને તેથી જ ગમે તેટલું સુંદર સ્થળ હોય પરંતુ તે લોકો આપઘાત કરી લેતા હોય છે. જે લોકો તીવ્ર હતાશામાં હોય છે તેઓ અન્યના આપઘાત જોઈને આપઘાત કરી લેતા હોય છે તેને મનોવૈજ્ઞાનિક ભાષામાં કોપી કેટ સ્યૂસાઇડ કહે છે. ખાસ તો વાદળછાયા વાતાવરણ દરમિયાન વ્યક્તિઓ આવું આત્યંતિક પગલું ભરી લેતા હોય છે.
સાબરમતીમાં કૂદીને આપઘાત કરવાનું પ્રમાણ ઉત્તરોઉત્તર વધ્યું છે.
- વર્ષ 2019માં 88 મૃતદેહ મળ્યા હતા
- વર્ષ 2020માં 98 મૃતદેહ મળ્યા હતા
- વર્ષ 2021માં 132 મૃતદેહ મળ્યા હતા
- વર્ષ 2022માં 144 મૃતદેહ મળ્યા હતા
આપઘાતની વધતી ઘટનાને પગલે તંત્રએ શરૂી કરી હતી વિવિધ કામગીર
વર્ષ 2014 – AMCએ કરી હતી રિવર રેક્સ્યૂ ટીમની રચના વર્ષ 2018 – ઓવર બ્રિજ પર સળીયાની જારી ફીટ કરાઇ હતી ઓવર બ્રિજ બાદ રિવર ફ્રન્ટ બન્યું હતું સુસાઇડ પોઇન્ટ રિવર ફ્રન્ટ પર તૈનાત કરવામાં આવી હતી સિક્યોરિટી પોલીસ અને ફાયર વિભાગે શરૂ કર્યું હતું પેટ્રોલિંગ
આંકડાઓ કહે છે કે સાબરમતીમાં આપઘાત કરી વર્ષે 300 લોકો જીવ ગુમાવે છે, ત્ચારે પાલિકાએ 2018માં તમામ 7 ઓવરબ્રિજ પર 3 ફૂટની ફેન્સિંગ કરવામાં આવી જેના માટે 1.10 કરોડનો ખર્ચ કર્યો હતો.પરંતુ એ ખર્ચ પછી પણ ઘટનાઓ ઓછી જરૂર થઈ છે પરંતુ કાબૂ આવી શક્યો નથી એ હકીકત છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…