
અમદાવાદ, 26 ઑગસ્ટ 2025 : ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચોમાસાએ જમાવટ કરી છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા મોટાભાગની નદીઓના જળસ્તર વધ્યા છે. જેમાં અમદાવાદની જીવાદોરી ગણાતી સાબરમતી નદી પણ આજે છલકાઈ ઉઠી છે. ભારે વરસાદના કારણે નદીનું જળસ્તર ખતરનાક રીતે વધ્યું છે, અને નજીકના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
અમદાવાદમાં વરસાદના પગલે વાસણા બેરેજના 27 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે સાબરમતી નદીમાં પાણીનું સ્તર ઝડપથી વધતું જઈ રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરના 19 જેટલા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
સંત સરોવરમાંથી 96,234 ક્યુસેક પાણી છૂટતાં, નદીના કાંઠા વિસ્તારના રહેવાસીઓને અને અધિકારીઓને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. સબંધિત વિભાગો સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
પાલડી
જૂના વાડજ
નવા વાડજ
એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તાર
જમાલપુર
રાયખડ
કોચરબ
સુભાષ બ્રિજ વિસ્તાર
પીરાણા
પીપળજ
ગોપાલપુર
શાહવાડી
કામા હોટલ વિસ્તાર
સાબરમતી પાવર હાઉસ
સરખેજ
દૂધેશ્વર
માધુપુરા
શાહપુર
સુભાષ બ્રિજથી વ્હાઇટ સિગ્નલ એલર્ટ પણ અપાયું છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે આગલા કલાકોમાં પાણીનો પ્રવાહ વધુ વધી શકે છે. સરખેજના બાકરોલ ગામ સહિત આસપાસના ગામડાઓમાં પાણીના સ્તરમાં સતત વધારો નોંધાયો છે, જેના કારણે કેટલાંક ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. શહેરના નગરસેવકો, પોલીસ અને તંત્ર સક્રિય થયુ છે, અને તમામ જવાબદાર અધિકારીઓને સ્ટેન્ડ બાય પર રહેવા સૂચના અપાઈ છે. જાહેર જનતાને નદીના કાંઠાવર જવા નહિ જવાની વિનંતી પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
બીજી તરફ સાબરમતી નદીમાં પાણી આવ્યા બાદ હવે પૂર્વ અને પશ્ચિમ વોક વે પર કીચડ જોવા મળી રહ્યો છે. સવારથી જ વનસ્પતિ અને કીચડ દૂર કરવા સફાઈ શરૂ કરાઈ છે. ગઈકાલે એકાએક પાણીની આવક થતા વોક વે પર પાણી ભરાયા હતા. જેમાં બુલેટ ટ્રેન બ્રિજ બનાવવાનો પાળો પણ ધોવાયો. પાણીના ધસમસતા પ્રવાહને કારણે પાળો જળપ્રવાહમાં વહી ગયો. જેથી બુલેટ ટ્રેન બ્રિજની કામગીરી અટવાઈ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો