
અમદાવાદ શહેરમાં આજે સવારે પડેલા ધોધમાર વરસાદ બાદ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાગરિકો માટે મહત્વની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. શહેરમાં બપોરે 4 થી 6 વાગ્યા સુધીમાં ફરી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને સાંજના સમયે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા ખાસ તાકીદ કરવામાં આવી છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરુવના જણાવ્યા મુજબ, શહેરમાં કુલ 2.77 ઇંચ વરસાદ નોંધાયો હતો, જેમાં સવારે 8 થી 9 વાગ્યા દરમિયાન સૌથી વધુ તીવ્રતાથી વરસાદ વરસ્યો હતો. આ હાઇ ઇન્ટેન્સિટીથી પડેલા વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર ઝડપથી પાણી ભરાઈ ગયા હતા.
વરસાદી પાણીના ભરાવાને કારણે વાહનવ્યવહાર પર મોટી અસર પડી છે. અખબારનગર અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે તેને વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે, જ્યારે મીઠાખળી અને પરિમલ અંડરપાસમાંથી પાણી ઓછું કરીને તેને ટૂંક સમયમાં ખુલ્લા મૂકવામાં આવશે.
શહેરના કુલ 18 જંક્શન પર પાણી ભરાવાની ફરિયાદો મળી હતી, જેમાંથી 8 જંક્શન પરથી પાણીનો નિકાલ કરાયો છે અને 10 જંક્શન પર કામગીરી ચાલુ છે. આ ઉપરાંત 35 સોસાયટીઓમાં પાણી ભરાયાની સમસ્યા સામે આવી છે, જ્યાં 32 વરુણ પંપ મૂકીને પાણી બહાર કાઢવાના પ્રયાસો થઈ રહ્યા છે.
સ્થિતિને કાબૂમાં લેવા માટે વાસણા બેરેજનું લેવલ 126.5 ફૂટ કરવામાં આવ્યું છે અને તેના 14 દરવાજા ખોલી દેવાયા છે. સાબરમતી નદીનું સ્તર વધવાના કારણે શહેરમાંથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ થવામાં મુશ્કેલી પડી રહી છે. ચોમાસામાં સામાન્ય રીતે નદીનું સ્તર ઓછું રખાય છે પરંતુ હાલમાં તે 126 ફૂટ રાખવા બાબતે અધિકારીઓ પાસે કોઈ સ્પષ્ટ જવાબ નહોતો.
કોની સૂચનાથી પાણીનું સ્તર વધારવામાં આવ્યું, તે અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો અને પાણી ભરાવા અંગે ગોળગોળ જવાબો આપ્યા હતા. હવામાન વિભાગ અને AMCની આગાહીને ધ્યાનમાં રાખીને તમામ નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા અને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.