અમદાવાદની નેશનલ હાઈસ્કૂલ બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. જેમા જુની અદાવતમાં વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને માર માર્યો હોવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. હજુ થોડા મહિના પહેલા જ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીએ એક વિદ્યાર્થીનું મોત થયુ હતુ. ત્યારે ફરી આ પ્રકારની ઘટના સામે આવતા સ્કૂલ પ્રશાસન સામે ફરી સવાલ ઉઠી રહ્યા છે.
નેશનલ હાઈસ્કૂલ બહાર થયેલી મારામારીમાં સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓનું એક ટોળુ અન્ય એક વિદ્યાર્થી પર લાકડીઓ લઈને તૂટી પડે છે અને ક્રુરતાથી મારી રહ્યા છે. જોકે આસપાસના લોકોને જાણ થતા તેમણે આ મારામારી કરી રહેલા વિદ્યાર્થીઓને છોડાવ્યા હતા. જો થોડુ ઘણુ પણ આમતેમ થયુ હોત તો હુમલાનો ભોગ બનનાર વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ શક્તો હતો. તેના જીવ પર પણ આવી બન્યુ હોત ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે વિદ્યાર્થીઓમાં આટલી હદની નિર્દયતા કેમ આવી રહી છે. તેમના માથા પર આટલી હિંસાવૃતિ કેમ સવાર થઈ જાય છે.
સ્કૂલ પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યુ છે કે કોઈક બાબતને લઈને વિદ્યાર્થીઓ અંદરોઅંદર ઝઘડ્યા હતા. જેમા સ્કૂલના એક વિદ્યાર્થીએ બહારના વિદ્યાર્થીને બોલાવ્યા હતા. હુમલાનો ભોગ બનનાર વિદ્યાર્થીને માથામાં કડુ મારવામાં આવ્યુ હતુ. જેમા તેને માથામાં ઈજા આવી હતી. જે બાદ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીને હોસ્પિટલે લઈ જઈને તેનુ ડ્રેસિંગ કરાવવામાં આવ્યુ હતુ, જે બાદ વાલીને જાણ કરાઈ હતી. હાલ શાળા દ્વારા વિદ્યાર્થીઓ સામે કોઈ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી નથી માત્ર ઠપકો આપીને છોડી દેવાયા છે. આટલી મોટી ઘટના બની ગઈ છતા વિદ્યાર્થીઓ સામે કોઈ શિક્ષાત્મક પગલા શાળા દ્વારા લેવામાં આવ્યા નથી.
હાલ તો ઘટનાનું સંજ્ઞાન લઈ વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે. સમગ્ર ઘટના પર પ્રાપ્ત વિગતો અનુસાર વિદ્યાર્થીએ જુની અદાવતમાં વિદ્યાર્થીને શાળા છૂટ્યા બાદ આંતરીને ઘાતકી રીતે માર માર્યો હતો. આ હુમલામાં વિદ્યાર્થીને નાની-મોટી ઈજા પણ આવી છે. હાલ સમગ્ર શિક્ષણ જગતને લાંછન લગાવતી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઘટનાની જાણ થતા જ રાજ્ય શિક્ષણ વિભાગે સંજ્ઞાન લઈને અહેવાલ મગાવ્યો છે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ સમગ્ર ઘટનાનો વિગતવાર અમદાવાદ શહેર DEO પાસેથી અહેવાલ માગ્યો છે.
સમગ્ર રાજ્યમાંચ ચકચાર મચાવનારી અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ બાદ વિદ્યાર્થી પર ઘાતકી હુમલાની આ બીજી ઘટના છે. જેનાથી સમગ્ર શિક્ષણજગત સામે સવાલ ઉઠી રહ્યા છે.
Input Credit Narendra Rathod, Kinjal Mishra
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 1:45 pm, Mon, 19 January 26