
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યા કરી રહ્યા છે. તેમની સાથે વિવિધ ટ્રક અને ગજરાજ પણ રથયાત્રામાં સામેલ થયા છે. મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે વહેલી સવારથી જ પહોંચી ગયા છે. જો કે ખાડિયામાં અચાનક જ એક ગજરાજ બેકાબૂ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે.
ભગવાન જગન્નાથની રથયાત્રામાં 10 ગજરાજ જોડાયા છે. જેમાંથી એક ગજરાજ ખાડિયા પહોંચવા દરમિયાન અચાનક જ ભીડને જોઇને બેકાબૂ થઇ ગયો હતો. ગજરાજ લોકોને જોઇને અચાનક જ દોડવા લાગ્યો હતો. વધુ ઘોંઘાટના કારણે ગજરાજ બેકાબૂ થયા હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જેને જોઇને ભગવાનના દર્શને આવેલા લોકો પણ ગભરાઇ ગયા હતા.
આ ઘટનામાં કોઇપણ નુકસાન પહોંચ્યુ નથી. જો કે થોડા સમય માટે જ્યારે ગજરાજ બેકાબૂ બન્યા ત્યારે ત્યાં હાજર તમામ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
જુઓ CCTV
ગજરાજ ભીડને જોઇને બેકાબૂ થતા અન્ય પોળમાં ઘુસી ગયો હતો. તે રેલિંગ તોડીને અન્ય પોળમાં ઘુસી ગયો હોવાની માહિતી સામે આવી છે. જો કે તબીબોની ટીમે આ ગજરાજને કાબુમાં લઇ લીધો છે. ગજરાજને ઇન્જેક્શન આપીને તબીબોએ તેના પર કાબુ મેળવી લીધો છે. હાલ સમગ્ર સ્થિતિ કાબુમાં આવી ગઇ છે. જો કે આ ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રથયાત્રા સાથે જોડાયેલુ તંત્ર પણ દોડતુ થઇ ગયુ હતુ.
આ ઘટનાના પગલે થોડી વાર માટે રથયાત્રાને રોકી દેવામાં આવી હતી. લગભગ 10 મિનિટ જેટલા સમય માટે રથયાત્રા આ જ સ્થળે અટકી ગઇ હતી. ટ્રકોના પૈડા પણ થંભી ગયા હતા. જો કે તબીબો દ્વારા ગજરાજને કાબુમાં લઇ લેવાતા આખરે સમગ્ર સ્થિતિ થાળે પડી છે અને તેના પહેલેથી નક્કી સમય મુજબ રથયાત્રા આગળ ધપી છે. બેકાબૂ ગજરાજને રથયાત્રામાંથી હટાવી દેવાયો છે.
Published On - 9:54 am, Fri, 27 June 25