Ahmedabad : અમદાવાદ શહેરમાં ભુમાફિયાઓએ અત્યાર સુધીમાં 42 હજાર જેટલા એકમો પર ગેરકાયદેસર કબજો કરી લીધો છે. કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ તમામ ડેટા હોવા છતાં હજુ પણ કુંભકર્ણની નિદ્રામાં છે. ભૂમાફિયાઓ દ્વારા પચાવી પાડવામાં આવેલી જમીનો વપરાશમાં ન આવતી હોય તેવી છે. પચાવી પડાયેલી આ જમીનો ઉપર ભૂમાફિયાઓએ દિવસના અજવાળામાં ગેરકાયદેસર બાંધકામો કરી નાખ્યા જેની કોર્પોરેશનને કોઇ જાણ જ નથી
અમદાવાદ શહેરમાં અધધ ગેરકાયદેસર બાંધકામો બની ગયા છે. કોર્પોરેશન પાસે તમામ ડેટા હોવા છતાં પણ કોર્પોરેશન આવા ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરી નથી રહી. શહેરમાં છેલ્લા 9 વર્ષમાં 42176 જેટલા બાંધકામો સરકારી ચોપડે ગેરકાયદેસર બાંધવામાં આવ્યા છે. રાજ્ય સરકારની 2012 ની ઇંપેક્ટ ફીના કાયદા મુજબ 2.50 લાખ જેટલી અરજીઓ આવી હતી. જે બાદ સર્વે કરવામાં આવ્યો અને તે પૈકી 1,28,049 અરજીઓ માન્ય રાખવામાં આવી હતી. બાકીની મિલકતો પર હજુ પણ દબાણ યથાવત છે. આ બાંધકામોને હટાવવામાં કોર્પોરેશનને કોઈપણ પ્રકારનો રસ ના હોય તેવું લાગી રહ્યું છે. સરકારી જમીનો પરના આ દબાણો પર ઝોન મુજબ નજર નાખીએ.
પૂર્વ ઝોન – 23117
પશ્ચિમ ઝોન – 2120
ઉત્તર ઝોન – 5331
દક્ષિણ ઝોન – 5915
નવો પશ્ચિમ ઝોન – 5693
કુલ – 42176
સમગ્ર મામલે એસ્ટેટ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે કામગીરી થાય જ છે અને જેમ જેમ ગેરકાયદે બાંધકામ તોડવાની મજૂરી મળે છે તેમ તોડવામાં પણ આવે છે. તો પછી સવાલ એ છે કે, અમદાવાદ શહેરના વિકાસની સાથે સાથે સરકારી જમીન પચાવી પાડનાર માફિયાઓ સામે કોઇ કડક કાર્યવાહી કેમ થતી નથી. ફક્ત નોટિસો અને દબાણ હટાવીને કાર્યવાહી થતી હોવાથી ભુમાફિયાઓ બેફામ થયા છે. જો તેમને કોઇ કડક સજા ફટકારવામાં આવશે તો જ તેમને કાયદા અને પોલીસનો ડર રહેશે.