અંકલેશ્વરમાં પુનઃ ભંગાર માર્કેટમાં આગનું કમઠાણ શનિવારે જોવા મળ્યું હતું. આદર્શ માર્કેટ માં 5 જેટલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. 2 દિવસ પૂર્વે જ અંકલેશ્વરમાં સ્ક્રેપ માર્કેટમાં 3 ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી જે બાદ આજે વધુ એક બનાવ બન્યો હતો.
શનિવારે સાંજે એક ગોડાઉન માં લાગેલી આગ અન્ય 4 ગોડાઉનને ચપેટમાં લીધા હતા. પ્લાસ્ટિક ની બેગ નો વિપુલ જથ્થો આ ગોડાઉનોમાં હતો. ભડકે બળતા ગોડાઉન ની આગ પર કાબુ મેળવવા 6 જેટલા ફાયર ફાયટરો કામે લાગ્યા હતા. તાલુકા ડિઝાસ્ટર ટીમ સહિત જીપીસીબી ની મોનિટરિંગ ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
અંકલેશ્વર ના ભંગાર માર્કેટ માં ઉપરાછાપરી આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. બે દિવસ પૂર્વે જ સ્ક્રેપ માર્કેટમાં આગની ઘટના બાદ આજે ફરી આગ ભભૂકી ઉઠી હતી. જેમાં જોત જોતા માં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને એક પછી એક 5 જેટલા ગોડાઉન ને ચપેટ માં લઇ લીધા હતા.
આગમાં ધુમાડા દૂરથી પણ નજરે પડતા હતા. ઘટના અંગે ડીપીએમસી ફાયર ને જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ ને કાબુ માં લેવા ના પ્રયત્નો આરંભ્યા હતા. જેની મદદે પાનોલી ફાયર અને નગરપાલિકા ફાયર ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. 2 કલાક ઉપરાંત ની જહેમતે આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.
આગ માં કોઈ જાનહાની સર્જાઈ ન હતી પરંતુ આગ નું વિકરાળ સ્વરૂપે એક તબક્કે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે જીપીસીબી , તાલુકા ડિઝાસ્ટર તેમજ ભરકોદરા પંચાયત ની ટીમ પણ સ્થળે દોડી આવી સ્થિતિ નો તાગ મેળવ્યો હતો. બનાવ અંગે પોલીસએ પણ તપાસ આરંભી હતી.
Published On - 7:48 pm, Sat, 8 May 21