
ટીવી અને ગુજરાતીની જાણીતી અભિનેત્રી અને નેશનલ એવોર્ડ વિનર માનસી પારેખ હાલમાં કૈલાશ પર્વત અને માનસરોવર તીર્થયાત્રા પર ગઈ છે. પરંતુ આ આધ્યાત્મિક સફર દરમિયાન તિબેતના ગ્યિરોન્ગ વિસ્તારમાં અચાનક આવેલા પૂરે સ્થિતિને ગંભીર બનાવી દીધી છે. યાત્રા પર ગયેલા એક જથ્થાના અંદાજે 77 લોકો લાપતા છે. જે ઘટના સમયે ઈમિગ્રેશન ઓફિસની પાસે હાજર હતા. આ ઘટનાની જાણ મળતા જ માનસી પારેખ સાથે સંપર્ક ન થવાના કારણે ચાહકો અને પરિવારની ચિંતા વધી ગઈ હતી.
પરંતુ હવે માનસી પારેખે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી પોતાની હેલ્થ અપડેટ શેર કરી છે. કહ્યું કે, તે હાલમાં આ દુર્ઘટનામાંથી સુરક્ષિત છે.
માનસી પારેખે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક જૂનો ફોટો શેર કર્યો છે, જેમાં સ્થાનિક લોકો તેનું ઉષ્માભર્યું સ્વાગત કરતા જોવા મળે છે. આ ફોટો પોસ્ટ કરીને માનસીએ ત્યાંની બગડતી પરિસ્થિતિ પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. માનસીએ લખ્યું, “ફક્ત પાંચ દિવસ પહેલા, આ જ જગ્યાએ મારું ખૂબ પ્રેમ અને ઉષ્માથી સ્વાગત કરવામાં આવ્યું હતું, અને હવે આ આખું સ્થળ પાણીમાં ડૂબી ગયું છે.
માનસી પારેખે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. સ્થિતિની ગંભીરતા પર વાત કરતા તીર્થયાત્રિકો માટે પ્રાર્થના કરી છે. માનસીએ લખ્યું કે, જિદગી ખુબ અનિશ્ચિત છે. પરંતુ જે અહી થયું તે દિલ તોડનારું છે. અમે આ ઘટનાથી પ્રભાવિત થયેલા તમામ લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. ટીમ અમને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની સાથે પુરમાં ફસાયેલા લોકોને શોધવાનો પ્રયત્ન કરી રહી છે. તમે બધા આ લોકોની સલામતી અને સુરક્ષા માટે પ્રાર્થના કરતા રહો.
પોતાના મેસેજમાં માનસી પારેખે એ પણ સ્પષ્ટતા કરી હતી કે તે હાલમાં ચીનમાં એક હોટલમાં રહી છે અને તેની ભવિષ્યની યાત્રા અંગે ચીની સરકાર અને સ્થાનિક અધિકારીઓ તરફથી વધુ માર્ગદર્શનની રાહ જોઈ રહી છે. રિપોર્ટ અનુસાર, કૈલાશ માનસરોવરથી પરત ફરતા યાત્રાળુઓ તિબેટમાં ગૈરોંગ ઇમિગ્રેશન સેન્ટર પાસે પહોંચ્યા ત્યારે આ અકસ્માત થયો હતો અને પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું. બચાવ ટીમો હાલમાં ગુમ થયેલા યાત્રાળુઓની શોધમાં રોકાયેલી છે, અને માનસી અને અન્ય તમામ લોકોના સુરક્ષિત પાછા ફરવા માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.
Published On - 9:35 am, Thu, 27 August 26