દિલજીત દોસાંજ (Diljit Dosanjh) સ્ટારર ફિલ્મ જોગીનું પહેલું ટ્રેલર આજે એટલે કે મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું છે. અલી અબ્બાસ જફર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 16 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ (Netflix) પર રિલીઝ થશે, જેને લઈને દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મ 84ના દિલ્હી રમખાણોથી પ્રેરિત છે. ફિલ્મની વાર્તા ત્રણ મિત્રો પર આધારિત છે જે ત્રણ દિવસ સુધી ચાલેલા રમખાણો દરમિયાન પોતાના અને પોતાના પરિવારના જીવન માટે લડે છે. દિલજીત દોસાંજ સ્ટારર આ ફિલ્મનું ટ્રેલર જોવામાં ખૂબ જ ભયાનક લાગે છે, જે 84ના રમખાણોની યાદ અપાવે છે.
નેટફ્લિક્સે તેના ઓફિશિયલ યુટ્યુબ એકાઉન્ટ પર જોગીનું ટ્રેલર શેયર કર્યું છે. ટ્રેલરની શરૂઆત દિલજીત દોસાંજ ઉર્ફે જોગી સાથે થાય છે, જે તેના પરિવાર સાથે બ્રેકફાસ્ટની મજા માણી રહ્યો છે. જોગીનો એક સુખી પરિવાર છે. પરંતુ તેમની ખુશી દુ:ખમાં બદલાઈ જાય છે જ્યારે તેમના વિસ્તારમાં રમખાણો શરૂ થાય છે. પડોશમાંથી ગોળી ચાલવાનો અવાજ, હિંસક ટોળાં અને પોતાનો જીવ બચાવવા દોડતા કેટલાક પરિવારો ટ્રેલરમાં જોવા મળે છે. જોગી તેના પરિવારને લઈને પંજાબ ભાગી જવા માંગે છે, જે તેના કહેવા મુજબ તેના અને તેના પરિવાર માટે સૌથી સુરક્ષિત સ્થળ છે.
ટ્રેલરના વિઝ્યુઅલ્સ ખૂબ જ હ્રદયસ્પર્શી છે. એક હેરાન કરનારી કહાની અલી અબ્બાસ ઝફર આ વખતે દર્શકો સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છે. ટ્રેલર જોવામાં તો સારું છે, પરંતુ હવે ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે કે આ ફિલ્મ દર્શકોના દિલ જીતી શકશે કે નહીં.
એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થયેલી સિરીઝ તાંડવ પછી અલી અબ્બાસ ઝફર જોગી દ્વારા એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવવાની કોશિશ કરી રહ્યો છે. જોગીમાં દિલજીત દોસાંજ સિવાય મોહમ્મદ જીશાન અયુબ, અમાયરા દસ્તુર, પારે પહુજા, કુમુદ મિશ્રા અને હિતેન તેજવાની મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 16 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.
1984ના રમખાણોની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના બે શીખ બોડીગાર્ડ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ જ દિલ્હીમાં રમખાણો થયા હતા, જેના કારણે દેશભરમાં હજારો લોકોના મોત થયા હતા. આમાં સૌથી વધુ મૃત્યુ પામેલા લોકો દિલ્હીના હતા.