ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનને (Shah Rukh Khan) સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) મોટી રાહત મળી છે. શાહરૂખના વકીલના જણાવ્યા અનુસાર 2017માં ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન વડોદરા રેલ્વે સ્ટેશન પર મચેલી દોડાદોડીના કેસમાં આ રાહત મળી છે. વાસ્તવમાં, આ દોડાદોડીની જવાબદારી તેમના પર નાખવા માટે નોંધાયેલા ફોજદારી કેસને પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી હતી. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે ફોજદારી કેસને રદ્દ કરવાના ગુજરાત હાઈકોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો સીધો ઈન્કાર કરી દીધો હતો. એટલે કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફોજદારી કેસ રદ કરવા માટે આપવામાં આવેલ નિર્ણયને ધ્યાનમાં લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે પાંચ વર્ષ પહેલા 2017માં શાહરૂખ ખાનની ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન એક કેસમાં ગુજરાત હાઈકોર્ટે અભિનેતા શાહરૂખ ખાનને થોડા દિવસ પહેલા જ રાહત આપી હતી. રઈસને પ્રમોટ કરવા માટે 2017માં રેલ્વે સ્ટેશન પર થયેલી દોડાદોડીના સંદર્ભમાં તેની સામે નોંધાયેલા ફોજદારી કેસોને ફગાવી દેવામાં આવ્યા હતા. હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
વડોદરા રેલવે સ્ટેશન પર 2017માં શાહરુખ ખાન મુંબઈથી દિલ્હી જતી ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનમાં ફિલ્મ રઈસના પ્રમોશન માટે આવ્યો હતો. જેમાં કોચ નંબર A-4માં કે જ્યાં તેનું બુકીંગ ન હતું ત્યાંથી પ્રમોશનલ એક્ટિવિટી કરી હોવાનો આરોપ લાગ્યો હતો. વડોદરામાં થોડો સમય રોકાણ કર્યું હતું. શાહરુખ ખાનના આવવાથી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 6 પર લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી. આ સમયે અભિનેતાએ ટીશર્ટ અને બોલ ટોળામાં ફેંક્યા બાદ અફરાતફરી મચી જતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
આ દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે કેટલાક લોકોને ઈજા પણ થઈ હતી. આ કેસમાં રેલવે એસ.પી એ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં આયોજકોએ પરવાનગી લીધી ન હતી તેમજ આયોજકોએ રેલવે પોલીસને જાણ પણ કરી ન હતી. આ સમગ્ર મામલે અભિનેતા શાહરુખ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદને રદ કરવા માટે અભિનેતા શાહરૂખ ખાને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે હવે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો સીધો ઈન્કાર કરી દીધો છે અને શાહરૂખ ખાનને આ મામલે મોટી રાહત મળી છે.