કારગિલ યુદ્ધના હીરો કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત ફિલ્મ ‘Shershaah’ વિશે શું કહ્યું તેમના માતા-પિતાએ, જાણો
કારગિલ યુદ્ધના રિયલ હીરો કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત ફિલ્મ ફિલ્મ 'શેરશાહ' 12 ઓગસ્ટે એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ થવાની છે. જાણો તેમના માતા-પિતાએ શું કહ્યું.
બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani) અભિનીત ફિલ્મ ‘શેરશાહ’નું (Shershaah) ટ્રેલર ગઈકાલે એટલે કે રવિવારે લોન્ચ કરવામાં આવ્યું હતું. કારગિલ દિવસના (Kargil Vijay Diwas) એક દિવસ પહેલા આ ટ્રેલરને કારગિલના દ્રાસમાં ભારતીય સૈન્યના જવાનો અને સીડીએસ જનરલ વિપિન રાવલ સાથે ફિલ્મની ટીમે લોન્ચ કર્યું હતું. આ ફિલ્મમાં કારગિલમાં દેશ માટે બલિદાન આપનારા કેપ્ટન વિક્રમ બત્રાની બહાદુરીની ગાથા બતાવવામાં આવશે. આ પ્રસંગે, કેપ્ટન વિક્રમ બત્રાના ભાઈ પણ અહીં હાજર હતા, પરંતુ કેટલાક કારણોસર તેમના માતાપિતા આ પ્રસંગનો ભાગ ન બની શક્યા. જોકે, ફિલ્મનું ટ્રેલર જોયા પછી તેમણે કહ્યું છે કે આ ફિલ્મ વીર જવાનને સાચી શ્રદ્ધાંજલિ છે.
કેપ્ટન વિક્રમ બત્રાના (Captain Vikram Batra) માતાપિતાનાં વીર પુત્રની શહાદતને આજે 22 વર્ષ થઇ ગયા છે. તેમના દીકરા એટલે કે ભારતીય સૈન્યના અધિકારીએ કારગિલ યુદ્ધમાં ખુબ મોટું યોગદાન આપ્યું. 1999 ના કારગિલ યુદ્ધમાં 16,000 ફૂટની બર્ફીલી ચોટીએ દુશ્મન સાથે લડતા લડતા તેઓ શહીદ થયા. આ વીર યોદ્ધાના જીવન અને યુદ્ધની એ ક્ષણોને આધારિત ફિલ્મ બની રહી છે. જેનું ટ્રેલર તાજેતરમાં લોન્ચ થયું. અહેવાલો અનુસાર, વિક્રમ બત્રાના માતાપિતાએ કહ્યું કે તે તેમના માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે અને આ ફિલ્મ એક સૈનિકને સાચી શ્રદ્ધાંજલિ છે જેમણે દેશ માટે પોતાનો જીવ આપ્યો. તેમના માતાપિતાએ કહ્યું કે તેમની બહાદુરી માટે પાકિસ્તાન સહિત વિશ્વભરમાં તેમના પ્રશંસક છે.
સૈનિકને સાચી શ્રદ્ધાંજલિ
સ્વર્ગસ્થ કેપ્ટન બત્રાના પિતા, 77 વર્ષીય જી.એલ. બત્રાએ જણાવ્યું કે, “આ ઐતિહાસિક યુદ્ધ ફિલ્મ થઇ રહી છે તેનો ગર્વ છે. જે અમારા દીકરાના જીવન પર આધારિત છે. હકીકતમાં સંઘર્ષ, જે તેના બાળપણથી જ શરૂ થઇ ગયો હતો. અને આ સંઘર્ષ તેને તે આઈએમએ (ભારતીય સૈન્ય એકેડેમી) સુધી લઇ ગયો છે. અને બાદમાં તે ભારતીય સેનામાં જોડાય છે.” કેપ્ટન વિક્રમ બત્રાને કારગિલ યુદ્ધ દરમિયાન એક અઘરા મિશનને લીડ કરવા માટે પરમ વીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે તેમના પુત્રના જીવન પર આધારિત આ ફિલ્મ કારગિલના એક નાયકને સાચી શ્રદ્ધાંજલિ છે. નિર્માતાએ તેમના જીવન પર ઘણું સંશોધન કર્યું છે. જો કે, તેમને એક વાતની દિલગીરી છે. તેમનું કહેવું છે કે અમે ચોક્કસપણે અનુભવીએ છીએ કે એક શહીદના સંસ્મરણોના દસ્તાવેજીકરણમાં ઘણો વિલંબ થઇ રહ્યો છે. તેઓ કહે છે. જો આ ફિલ્મ કારગિલ યુદ્ધના બે-ચાર વર્ષમાં બનાવવામાં આવી હોત, તો તે વધુ યોગ્ય હોત. અમને હજી પણ ગૌરવ છે કે દિગ્દર્શકે કારગિલ યુદ્ધના હીરો અમારા પુત્રના જીવન પર બાયોપિક બનાવી છે.
આપને જણાવી દઈએ કે તમિલ નિર્દેશક વિષ્ણુ વર્ધનની ફિલ્મ ‘શેરશાહ’ 12 ઓગસ્ટે એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ થવાની છે. તે કારગિલ નાયકને સાચી શ્રદ્ધાંજલિ હશે. આ ફિલ્મ કરણ જોહરના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનાવવામાં આવી છે.
આ પણ વાંચો: Shershah trailer release: શૌર્યની ગાથા સાથે ‘શેરશાહ’ નું ટ્રેલર રિલીઝ, ફેન્સ થઈ જશે દિવાના