NIA કોર્ટે ટેરર ફંડિંગ (Terror Funding) કેસના આરોપી યાસીન મલિકને લઈને અંતિમ ચુકાદો આપી દીધો છે. યાસીન મલિકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જે બાદ કોર્ટના નિર્ણય પર સોશિયલ મીડિયા પર સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે. રાજનેતાઓથી લઈને ફિલ્મ જગત સાથે જોડાયેલા તમામ દિગ્ગજો કોર્ટના નિર્ણય પર પોતપોતાના અભિપ્રાય આપી રહ્યા છે. આતંકવાદી યાસીન મલિકની સજાની જાહેરાત બાદ જમ્મુ-કાશ્મીર (J&K BJP) બીજેપીએ કહ્યું કે, તેણે પાકિસ્તાનની મદદથી ઘાટીમાં લોહી વહેવડાવ્યું. બીજી તરફ, ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ યાસીન મલિકની (Yasin Malik) સજાને મહાન ચુકાદો ગણાવ્યો હતો. આવી સ્થિતિમાં બોલિવૂડ એક્ટર પરેશ રાવલનું (Paresh Rawal) ટ્વિટ પણ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
યાસીન મલિકની સજા બાદ પરેશ રાવલે કોર્ટના નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. અભિનેતાએ તેના સત્તાવાર ટ્વિટર પર ટ્વિટ કર્યું છે અને કહ્યું છે કે-મલિક બે પ્રકારના હોય છે! એક ઉમરાન જે યુવાનોને પ્રેરણા આપે છે અને બીજો યાસીન જે !
આ ટ્વિટમાં પરેશ રાવલે ક્રિકેટર ઉમરાન મલિકનું નામ લઈને તેના વખાણ કર્યા છે. આ સાથે તેણે કોર્ટના નિર્ણયને પરોક્ષ રીતે સંપૂર્ણ રીતે યોગ્ય ઠેરવ્યો છે. પરેશ રાવલે ઉમરાન મલિકના વખાણ કરતાં કહેવા માંગે છે કે-There are two kinds of MALIK ! One is UMRAN who inspires youth and the other one is …! અભિનેતાનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
There are two kinds of MALIK ! One is UMRAN who inspires youth and the other one is …!
— Paresh Rawal (@SirPareshRawal) May 25, 2022
તમને જણાવી દઈએ કે યાસીન મલિકને સજા સંભળાવવાના એક દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ફાસ્ટ બોલર ઉમરાન મલિક સાથે મુલાકાત કરી હતી. આ બેઠકના બીજા જ દિવસે તેમણે જાહેરાત કરી હતી કે, હવે રાજ્ય ક્રિકેટરોની તાલીમ અને અન્ય સુવિધાઓનું સંપૂર્ણ ધ્યાન રાખશે. તાજેતરમાં, ઉમરાન મલિકને દક્ષિણ આફ્રિકા સામેની આગામી પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય હોમ સિરીઝમાં ભારતીય રાષ્ટ્રીય ટીમ માટે પ્રથમ કોલ અપ મળ્યો છે. આ ટુર્નામેન્ટ 9મી જૂનથી શરૂ થશે.
મીડિયા અહેવાલ મુજબ, રાજ્યના લેફ્ટનન્ટ ગવર્નર સિન્હાએ 24 મેના રોજ જાહેરાત કરી હતી કે, સમગ્ર દેશને ઉમરાન મલિક પર ગર્વ છે. સરકાર તેમની તાલીમ અને અન્ય સુવિધાઓનું ધ્યાન રાખશે. ક્રિકેટરને સરકારી નોકરી મળશે તે અંગે સિન્હાએ કહ્યું, સ્પોર્ટ્સ પોલિસીમાં જોગવાઈ છે અને જ્યારે તે ઈચ્છશે ત્યારે સરકાર તેને આ તક આપશે.
ઉલ્લેખનીય છે કે, NIA કોર્ટે વર્ષ 2017માં નોંધાયેલા ટેરર ફંડિંગ કેસમાં યાસીન મલિકને 10.75 લાખ રૂપિયાના દંડ સાથે આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે યાસીન પર જમ્મુ અને કાશ્મીરમાં અશાંતિ ફેલાવવામાં અને આતંકવાદી ગતિવિધિઓને સમર્થન આપવાના મોટા સહયોગનો આરોપ લગાવ્યો છે. ચુકાદા પછી, યાસીનને તિહાર જેલની બેરેક નંબર 7માં રાખવામાં આવશે.