બોની કપૂર અને રાજામૌલી વચ્ચે સમાધાન કરાવવા આગળ આવ્યા અજય દેવગન
મળેલી માહિતી મુજબ અજય દેવગણ બોની અને રાજમૌલની નારાજગી દૂર કરવા માટે વચ્ચે આવ્યા છે. અજય બંને વચ્ચે શાંતિ નિર્માતા તરીકેની ભૂમિકા નિભાવી રહ્યા છે.
તાજેતરમાં રાજામૌલીએ આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘RRR’ની રિલીઝ ડેટ જાહેર કરી છે. જે દશેરાના દિવસે એટલે કે 13 ઓકટોબર 2021ના રોજ રિલીઝ થવાની છે. ત્યારે બોની કપૂર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ફિલ્મ ‘મેદાન’ પણ 15 ઓકટોબર 2021માં રિલીઝ થવાની છે. માનવામાં આવી રહ્યું છે કે મેદાનના બે દિવસ પહેલા ‘RRR’ રિલીઝ થવાથી બંને ફિલ્મોની કમાણી પર અસર પડશે.
આ બાબતને લઈને રાજામૌલી અને બોની કપૂર વચ્ચે માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે. જાણવા મળ્યું છે કે આ બંને વચ્ચેની બબાલને શાંત કરાવવા માટે હવે અજય દેવગણ વચ્ચે પડ્યા છે.
રાજામૌલીએ તેની આગામી ફિલ્મ આરઆરઆરની રિલીઝ ડેટની ઘોષણા કરી ત્યારથી બોની કપૂર ખૂબ નારાજ જોવા મળી રહ્યા છે. બોનીએ એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, ‘રાજામૌલીની ઘોષણા બાદ હું ખૂબ જ નારાજ છું. આ ખૂબ જ અનૈતિક વાત છે’.
હવે મળેલી માહિતી મુજબ અજય દેવગણ બોની અને રાજામૌલીની નારાજગી દૂર કરવા માટે વચ્ચે આવ્યા છે. અજય બંને વચ્ચે શાંતિ નિર્માતા તરીકેની ભૂમિકા નિભાવી રહ્યા છે. અહેવાલ મુજબ અભિનેતા બંને વચ્ચે મીટિંગ કરાવવાના પ્રયાસ કરી રહ્યા છે. જોકે અજયની વાતને બંનેમાંથી કોઈ સ્વીકારવા તૈયાર નથી. એક સૂત્રએ કહ્યું કે, ‘બોની કપૂરને લાગે છે કે તેઓ સાચા છે કેમ કે તેમણે ફિલ્મ મેદાનની રિલીઝ ડેટની છ મહિના પહેલા જ ઘોષણા કરી હતી. જ્યારે રાજામૌલીને લાગે છે કે બંને ફિલ્મ્સ એક બીજાથી સંપૂર્ણપણે ભિન્ન છે, તેથી બંને વચ્ચે કોઈ મુકાબલો નથી. આરઆરઆર અને મેદાન બંનેમાં અજય અલગ અલગ રોલમાં જોવા મળશે.