વિધાનસભા ચૂંટણી (Assembly elections) પહેલા ભાજપ (BJP) નેતાઓએ પ્રચાર પ્રસાર જોર શોરથી શરુ કરી દીધો છે. ભાજપના નાના અને મોટા નેતાઓ દ્વારા ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને વધુમાં વધુ લોકો સુધી પહોંચવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં (Surat) એક ધાર્મિક કાર્યક્રમમાં ભાજપ નેતા મનિષ કાપડીયાએ હાજરી આપી હતી. જ્યાં સંબોધન દરમિયાન તેમની જીભ લપસી હતી. મનીષ કાપડિયાએ કહ્યું કે પાસના આંદોલનથી ફાયદો કે નુકસાન થયાની ખબર નથી પણ વરાછા રોડ પર ફેનિલ જેવા એક હજાર ટપોરીઓ પેદા થયા છે.
વરાછાના ભાજપના યુવા નેતા મનિષ કાપડીયાને જાહેર મંચ પરથી કરાતા નિવેદનના કેવા પ્રત્યાઘાત પડે છે તેનો પરિચય થયો છે. વરાછામાં જ સ્વામી નારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલાં એક ધાર્મિક કાર્યક્રમના મંચ પરથી મનિષ કાપડિયાએ ગ્રીષ્માના હત્યારા ફેનિલના મુદ્દે એક નિવેદન કર્યું કે પાસના આંદોલનથી ફાયદો કે નુકસાન થયાની ખબર નથી પણ વરાછા રોડ પર ફેનિલ જેવા એક હજાર ટપોરીઓ પેદા થયા છે. મનિષ કાપડિયાનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ પાટીદાર અનામત આંદોલન સમિતિનાં નેતાઓ અને કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.
પોતાના સ્ટેટમેન્ટથી પાસના કાર્યકર્તાઓમાં સખત નારાજગી ફરી વળી છે તેવું પ્રતીત થતાં જ મનિષ કાપડીયાએ રવિવારે સવારે પોતાના ફેસબુક વોલ પર વીડિયો પોસ્ટ કરીને માફી માગી હતી. જેમાં મનિષ કાપડીયાએ કહ્યું કે સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ભક્ત ચિંતામણી સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન મારી સ્પીચની અંદર જે રીતે વરાછા રોડ પર ટપોરીઓ વધે છે અને ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટનાઓ બને છે એ બાબતમાં મેં વાત કરી હતી. પણ ક્યાંકને ક્યાંક આ વાત પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાય તેવું કેટલાક મિત્રોને લાગે છે તો આમાં કોઈને પણ મારા નિવેદન બદલ કોઈ ઠેસ પહોંચી હોય તો હું બે હાથ જોડીને માફી માગું છું.
મનિષ કાપડિયાએ કહ્યું કે અનામત આંદોલનથી શું ફાયદા થયા શું નુકસાન થયું એ બાબતમાં મારે ખાલી એટલું જ કહેવું હતું કે આ દ્વારા એક પાટીદાર બિન અનામત આગની રચના થઈ, એમાં પાંચ કરોડ રૂપિયા ફાળવાયા છે, તેમાંથી કેટલા રૂપિયા વપરાય છે? એટલે કે આપણે વધુમાં વધુ લોકો લાભ નથી લેતા એવી મારી વાત હતી.
ચોમેરથી પોતાની સામે વિરોધ ભભૂકી ઉઠતાં મનિષ કાપડિયાએ ફેસબુકમાં પોતાની વોલ પર પોતાના નિવેદન બદલ માફી માગતો વીડિયો પોસ્ટ કરીને પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકર્તાઓમાં ફાટી નિકળેલો વિરોધને થાળે પાડવો પડ્યો હતો. મનિષ કાપડિયા એ જ છે જેમને તાજેતરમાં ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં વાઈસ પ્રેસિડેન્ટ પદે ઉમેદવારી કરતા રોકવા માટે ચેમ્બરનાં કેટલાક ઉદ્યોગપતિઓએ નવા નિશાળીયા અને કોઈપણ ઉદ્યોગ વગરના ગણાવ્યા હતા.