Surat : વિશ્વમાં ડાયમંડ પ્રોસેસિંગના સૌથી વધુ યુનિટ ધરાવતા સુરતમાં ચિંતાનું મોજું, યુક્રેન અને રશિયા યુદ્ધથી ઉદભવેલી કાચા હીરાની સમસ્યા વધુ વકરી
નાના અને મધ્યમ કહી શકાય તેવા એક હજારથી વધુ કે કારખાનામાં હાલ 15 દિવસનું ઉનાળુ વેકેશન ફ૨જીયાત આપવામાં આવ્યું છે.
યુકેન પર રશિયાનાં યુદ્ધ (Russia Ukraine War) ને કારણે સમગ્ર વિશ્વના હીરા (diamond) બજારોમાં મોટી આફત આવી પડી છે. સમગ્ર વિશ્વમાં સૌથી મોટો ડાયમંડ પ્રોસેસિંગ ઉદ્યોગ સુરત (Surat) માં વિકસ્યો છે એટલે આ યુદ્ધની સૌથી વિપરીત અસર સુરતના વરા ઉધોગમાં વર્તાય રહી છે, એક તરફ કાચા હીરાનો સપ્લાય ઘટી ગયો છે. અને બીજી એક સમસ્યા એ ઉદભવી છેકે સુરતથી તૈયાર હીરા જયાં વેચવામાં આવી રહ્યા છે એ યુરોપિયન દેશો, અમેરિકી દેશોના ગ્રાહકો એવું પ્રમાણ માંગી રહ્યા છે કે જે હીરા તેમને વેચવામાં આવ્યા છે તે રશિયન મૂળના નથી.
સુરતના હીરા ઉદ્યોગપતિઓની હાલત હાલમાં સાવ કફોડી થઈ જવા પામી છે. નાના અને મધ્યમ કહી શકાય તેવા એક હજારથી વધુ કે કારખાનામાં હાલ 15 દિવસનું ઉનાળુ વેકેશન ફ૨જીયાત આપવામાં આવ્યું છે. મોટા કારખાનામાં કાચા હીરાનો જથ્થો પર્યાપ્ત માત્રામાં મળતો ન હોઈ, સપ્તાહમાં બે રજાઓ રાખવામાં આવી છે. ઘણાં મોટા કારખાનાઓમાં કર્મચારીઓને અન્ય સામાજિક, સાંસ્કૃતિક કે રમતગમતમાં જોતરીને સમય પસાર કરવામાં આવી રહ્યો છે.
હીરા ઉદ્યોગના જાણકારો કહે છે સ્થાનિક ઉદ્યોગપતિઓની ગણતરી એ હતી કે છેલ્લા 70 દિવસથી ચાલી રહેલા યુક્રેન પર રશીયાના હુમલાઓ ને કારણે કાચા હીરાનો સપ્લાય ખોરવાયો છે, સુરતથી તૈયાર થતાં હીરાના વેચાણમાં કોઈ સમસ્યા નહીં નડે. પરંતુ, હવે વૈશ્વિક માર્કેટો કે જે યુરોપ અને અમેરિકાના દેશોમાં આવેલી છે. ત્યાં એવી છાપ ઉભી થઈ છે કે રશિયા દ્વારા કાચા હીરાનો જથ્થો ભારતમાં સપ્લાય કરવામાં આવી રહ્યો છે. યુરોપ, અમેરિકા સહિતના દેશોએ રશિયા પર પ્રતિબંધ મૂક્યા હોઈ, હવે સુરતના વેપારીઓ, ઉદ્યોગપતિઓ પાસેથી તેયાર હીરા ખરીદનારા યુરોપિયન દેશો કે અમેરિકી દેશોના ગ્રાહકો એવું પ્રમાણ પણ માંગી રહ્યા છે કે તેમને જે તૈયાર હીરા વેચવામાં આવ્યા છે તે રશિયન મૂળના નથી. જો એવું હોય તો તેઓ રશિયાની કોઇ પણ વસ્તુ ખરીદવા માંગતા નથી. આવી વેપારનીતિને કારણે કરોડો રૂપિયાનાં સોદા ફોક થાય તેવી સ્થિતિ છે.
પતલી સાઈઝના હીરાનો જથ્થો છેલ્લા દોઢ મહિના કરતાં વધુ સમયથી આવતો નહીં હોવાને લીધે જે પણ કારખાનેદાર પાસે જુનો સ્ટોક છે તે ચલાવી રહ્યા છે. જથ્થો પણ આગામી 20 દિવસમાં પુરો થઈ જવાની શકયતા જાણકારોએ વ્યકત કરી છે. ત્યારબાદ રફ હીરા જ નહીં હોવાના લીધે કારગીરોને છુટા કરવા પડે અથવા તો હીરાના કારખાનામાં ઉનાળું વેકેશન જાહેર કરવુ પડે તેવી સ્થિતિ ઉભી થવાની છે.