ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી (Assembly Election)ને લઈ કોંગ્રેસ (Congress) પ્રજાને વધુ ત્રણ વચન આપ્યા છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે ગુજરાતમાં સરકાર બનશે તો જૂની પેન્શન યોજના (Old Pension Scheme) ફરી લાગુ કરીશું. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં 100 દિવસીય ઈન્દિરા ગાંધી રોજગાર યોજના શરૂ કરાશે. ઉપરાંત ગરીબોને સવાર સાંજ માત્ર 8 રૂપિયામાં શહેરી વિસ્તારોમાં ભોજનની વ્યવસ્થા કરાશે. જેમાં બપોરે અને સાંજે 100 ગ્રામ દાળ, શાક, રોટલી અને અથાણા સહિતનું પૌષ્ટિક ભોજન જરૂરિયાતમંદોને આપવામાં આવશે.
હાલ અનેક સરકારી કર્મચારીઓ રાજ્યમાં જૂની પેન્શન યોજનાને લઈને આંદોલન ચાલી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં તેનો લાભ લેવા માટે પંજાબની આપ સરકારે જૂની પેન્શન યોજનાની વિચારણા અંગેની જાહેરાત કરી છે તો ગુજરાત કોંગ્રેસે તો તેના વચનોમાં જ જૂની પેન્શન યોજના લાગુ કરવાની બાંહેધરી આપી છે. અગાઉ 8 ચૂંટણી વચનો આપી ચુકેલી કોંગ્રેસે આજે વધુ ત્રણ વચનોની લ્હાણી કરી છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું કે આજે આપેલ ત્રણેય વચન રાજસ્થાનની કોંગ્રેસ સરકાર જમીની સ્તર પર આપી રહી છે. જો ગુજરાતમાં સરકાર બનશે તો અગાઉ આપેલ 8 વચનો અને આજના 3 વચનોને પાળવામાં આવશે.
અગાઉ 8 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી જ્યારે અમદાવાદ આવ્યા હતા, ત્યારે તેમણે આઠ વચનોની જાહેરાત કરી હતી. જેમાં દસ લાખની મફત આરોગ્ય સેવા, ખેડૂતોનું ત્રણ લાખ રૂપિયાનું દેવું માફ, 10 લાખ યુવાઓને નોકરી, કોન્ટ્રાક્ટ પ્રથા રદ અને 3000 બેરોજગારી ભથ્થાનો સમાવેશ થાય છે.
અગાઉ આઠ ચૂંટણી વાયદાઓ આપી ચૂકેલ કોંગ્રેસે વધુ ત્રણ વચનોની જાહેરાત કરી છે.
Published On - 9:20 pm, Mon, 19 September 22