ગુજરાત વિધાનસભા મતદાનના પ્રથમ તબક્કાને હવે ગણતરીના દિવસો બાકી છે, તે પહેલા રાજકીય પાર્ટીઓ રાજકીય સોગઠા ગોઠવી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી આજથી પ્રચારના શ્રીગણેશ કરશે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેમની જાહેર સભા છે. દક્ષિણ ગુજરાતમાં મહુવાના અનાવલ ગામે તેઓ જાહેર સભા સંબોધશે. તેમની સભાનું સ્થળ એ રીતે નક્કી કરવામાં આવ્યું છે કે જેનાથી દક્ષિણનો આદિવાસી પટ્ટો કવર થઈ શકે. દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટા પરની 16 બેઠકોને આવરી લેતી આ સભા મહત્વની માનવામાં આવી રહી છે.
આ 16 બેઠકોમાં માંડવી, કામરેજ, બારડોલી, મહુવા, વ્યારા, નિઝર, ડાંગ, જલાલપુર, નવસારી, ગણદેવી, વાંસદા, ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામનો સમાવેશ થાય છે. આ સભાની અસર નવસારી, તાપી, વલસાડ, સુરત જિલ્લાની આદિવાસી બેઠકો પર થાય તે પ્રકારનું આયોજન કરાયું છે. આપને જણાવી દઈએ કે, મોટા ભાગે આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસની પકડ સારી છે, ત્યારે આ ગઢને કાયમી રાખવા આજે કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ મતદારોને રીઝવવા મેદાને છે.
2017 ગુજરાત ચૂંટણીમાં રાહુલ ગાંધીએ એક મહિના સુધી ગુજરાતમાં પ્રચાર અને પ્રસાર થકી જનતાની નજીક પહોંચ્યા હતા અને તેની પરિણામો પર પણ અસર થઈ હતી. જો કે આ વખતે મતદાનના માત્ર થોડા દિવસો અગાઉ રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે, ત્યારે પ્રચારની કેટલી અસર જોવા મળશે, તે તો પરિણામ જ બતાવશે.
સુરત જિલ્લાના મહુવામાં જ્યાં રાહુલ ગાંધીની સભા યોજાવાની છે. જો આ બેઠકના રાજકીય ઈતિહાસની વાત કરીએ તો 2017માં ભાજપના મોહન ઢોડીયાને 82,607 મત મળ્યા. તો કોંગ્રેસના ડૉ.તુષાર ચૌધરીને 76,714 મત મળ્યા હતા. જેથીભાજપના મોહન ઢોડીયા 6,433 મતેથી જીત્યા હતા.
વર્ષ 1962થી 2017 સુધી 14 વખત વિધાનસભા ચૂંટણી થઈ છે. 10 વખત કોંગ્રેસ અને 4 વખત ભાજપ જીત્યું છે. 1962થી 1995 સુધી કોંગ્રેસનું એકહથ્થુ શાસન અહીં રહ્યું છે. 1998માં દેવદત્ત પટેલની જીતથી ભાજપનું ખાતું ખુલ્યુ હતુ. વર્ષ 2002 અને 2007 માં કોંગ્રેસના ઇશ્વર વહિયા જીત્યા હતા. 2012માં ભાજપે કોંગ્રેસ પાસેથી બેઠક આંચકી. આ બેઠક પરથી 2012 અને 2017માં મોહન ઢોડીયા ચૂંટણી જીત્યા હતા.
Published On - 1:34 pm, Mon, 21 November 22