ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં ખાસ કરીને આ વખતે આમ આદમી પાર્ટી (AAP) ચૂંટણી પ્રચારમાં તમામ તાકાત લગાવી રહી છે. આ બધા વચ્ચે આપના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) ગુજરાતના સહ પ્રભારી બન્યા બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે રાજકોટ (Rajkot) શહેરમાં આવ્યા હતા અને તેમણે નિવેદન આપ્યું હતું કે આ ચૂંટણીમાં સીધો જંગ AAP Vs BJPનો છે અને કોંગ્રેસ હવે ઘરડી થઈ ગઈ છે.
આમ આદમી પાર્ટીના સહ પ્રભારી તરીકે નિમણૂક થયા બાદ રાઘવ ચઢ્ઢા પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આજે રાઘવ ચઢ્ઢા રાજકોટના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. ગુજરાત આવતાની સાથે જ રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે કે વિધાનસભાની ચૂંટણીમાં AAP અને BJP વચ્ચે જંગ છે, જ્યારે કોંગ્રેસ 27 વર્ષથી ભાજપને હરાવી શકતી નથી અને હવે કોંગ્રેસ ઘરડી થઇ ગઇ છે. રાઘવ ચઢ્ઢાએ ઉમેર્યું હતું કે દિલ્લી અને પંજાબના લોકોએ કેજરીવાલના મોડલને સ્વીકાર્યું છે. દિલ્લીમાં કોંગ્રેસની સરકારને જડમૂડથી ઉખાડીને ફેંકી દીધી, જ્યારે પંજાબમાં અકાલી દલ-કોંગ્રેસની સરકારને ઉખેડી ફેંકી હતી.તો ગુજરાતમાં આપના જગમલ વાળાના દારૂ અંગેના વીડિયો અંગે તેમણે કહ્યું હતું કે જ્યારે વિપક્ષ માટે કોઈ મુદ્દા નથી હોતા, ત્યારે આ પ્રકારની રાજનિતી કરે છે અને અમારા કાર્યકર્તાના વીડિયોમાં તોડજોડ કરીને વાયરલ કરે છે,
રાઘવ ચઢ્ઢા રાજકોટમાં આજે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરીને કબા ગાંધીના ડેલાની મુલાકાતે જશે. કબા ગાંધીનો ડેલો એ જગ્યા છે જ્યાં ગાંધીજીએ પોતાનું બાળપણ વિતાવ્યું હતું. તેઓ પાર્ટીના કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓ સાથે પણ મુલાકાત કરશે.
આમ આદમી પાર્ટીએ જીત મેળવવા માટે રાઘવ ચઢ્ઢાને મહત્વની ભૂમિકા સોંપી છે. રાઘવ ચઢ્ઢા એક કુશળ રાજકારણી અને સંચાલક માનવામાં આવે છે. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેના કારણે પંજાબમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ જીત મેળવી હતી. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત માટે એક મહત્વપૂર્ણ સૂત્રધાર અને સહ પ્રભારીની ભૂમિકામાં રહ્યા છે. આવી સ્થિતિમાં આપએ તેમને ગુજરાતમાં પાર્ટી બાબતોના સહ પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે.