Gujarat Election 2022: કિન્નર સમુદાય લોકશાહીના મહાપર્વમાં એકજૂથ થઇને મતદાન કરવા ઉત્સુક, ટ્રાન્સજેન્ડરનો અચૂક મતદાન માટે નિર્ધાર
અમદાવાદના જમાલપુર અખાડામાં રહેતા કિન્નર સમુદાયના લોકોમાં જેટલા પણ લોકો અન્ય જાતિ તરીકે નોંધાયેલા છે તેઓ બધા ચૂંટણીમાં ઉમંગ, ઉત્સાહ અને ગર્વભેર મતદાન કરવા અચૂક જાય છે. આમાંથી ઘણાંય એવા લોકો છે, જેઓ છેલ્લાં 35 થી 40 વર્ષમાં એક પણ ચૂંટણીમાં મતદાન કરવાનું ચૂક્યા નથી.
ગુજરાત એસેમ્બલી ઇલેક્શ 2022: લોકશાહીના ઉત્સવ સમી ચૂંટણીમાં મતદાર રાજા હોય છે અને લોકશાહીમાં તમામને મતદાન કરવાનો અધિકાર છે ત્યારે આ વખતની ચૂંટણીમાં ટ્રાન્સજેન્ડર મતદાતા પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. અમદાવાદમાં કુલ 211 કિન્નર સમુદાયના મતદાતા નોંધાયા છે આ અંગે જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદના કિન્નર સમુદાય લોકશાહીના મહાપર્વમાં એકજૂથ થઇને મતદાન કરવા માટે ઉત્સુક છે. કિન્નર કશીશદે જણાવ્યું હતું કે અમે અન્ય જાતિ એટલે કે ટ્રાન્સજેન્ડર કેટેગરીમાંથી મત આપીએ છીએ ત્યારે અમે પણ સમાજનો જ અભિન્ન હિસ્સો છીએ તેવી અનુભૂતિ થાય છે. નોંધનીય છે કે રાજ્યમાં કુલ 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ગુજરાત ઇલેક્શ 2022: કિન્નર સમુદાયના અગ્રણી મતદાન કરવાનું નથી ચૂક્યા
વર્ષ 2014 થી અન્ય જાતિ કેટેગરીમાં સમાવિષ્ટ થયા બાદ ટ્રાન્સજેન્ડર તરીકે એકપણ ચૂંટણીમાં મતદાન કરવાનું ચૂક્યા નથી એવા કિન્નર સમુદાયના અગ્રણી કશીશદે જણાવ્યું હતું કે મત કરવાનો હક્ક બંધારણે આપ્યો છે. જો આપણે અન્ય હક્ક માટે હરહંમેશ સજાગ રહેતા હોઇએ તો મત કરવાના હક્કને ફરજ સમજીને કેમ અદા ન કરી શકીએ? વર્ષ 2014થી સુપ્રીમ કોર્ટ દ્વારા કિન્નર સમુદાયને ‘અન્ય જાતિ’ કેટેગરીમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. ત્યારથી કિન્નરોને ટ્રાન્સજેન્ડર તરીકે સ્વતંત્ર રીતે મતદાન કરવાનો હક્ક મળ્યો છે.
આ અગાઉ પુરુષ અથવા સ્ત્રી કેટેગરીમાં મતદાન કરતા હતા. મતદાન કરીને ભારતીય નાગરિક હોવાના અનેરા આનંદ સાથે ગર્વની લાગણી અનુભવાય છે તેમાં પણ ખાસ કરીને જ્યારે અન્ય જાતિ એટલે કે ટ્રાન્સજેન્ડર માટેની અલાયદી કેટેગરીમાં મત આપીએ છીએ ત્યારે પણ સમાજનો જ અભિન્ન હિસ્સો છીએ તેવી અનુભૂતિ થાય છે.
કશીશદે જમાલપુર અખાડામાં વર્ષોથી રહે છે. તેમની સાથે મોટી સંખ્યામાં કિન્નર સમુદાયના લોકો રહે છે, જેઓ કશીશબાને પોતાના ગુરુ માને છે. આ કિન્નર સમુદાયના લોકો જેઓ મતદાતા તરીકે નોંધાયેલા છે અને જેમનું ચૂંટણી કાર્ડ છે તેઓ દરેક ચૂંટણીમાં અચૂકથી મતદાન કરે છે. દિવાળી, હોળી, રક્ષાબંધન જેવા તહેવારોની જેમ જ ચૂંટણીને પણ ખરા અર્થમાં તેઓ એક અવસર અને ઉત્સવ માને છે. અવસર ગમતા ઉમેદવારને ચૂંટવાનો, અવસર પોતાને મળેલા હક્કને ઉજાગર કરવાનો, અવસર સમાજમાં લોકશાહીના સૌથી મોટા ઉત્સવ ચૂંટણીમાં મતદાન પ્રત્યેની જાગૃતિ ફેલાવવાનો, આ અવસરને તેઓ લોકશાહીનો સૌથી મોટો અવસર સમજે છે.
અમદાવાદ જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં 211 જેટલા અન્ય જાતિ કેટેગરીના મતદારો નોંધાયા છે. દરેક ચૂંટણીમાં અન્ય જાતિના મતદારો ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે મત આપવા જતા હોય છે. તેવી જ રીતે આ ચૂંટણીમાં પણ કિન્નર સમુદાયના લોકો એકજૂથ થઈને અચૂકપણે મતદાન કરવા કટિબદ્ધ અને ઉત્સાહી છે.
નોંધનીય બાબાત એ છે કે, અમદાવાદના જમાલપુર અખાડામાં રહેતા કિન્નર સમુદાયના લોકોમાં જેટલા પણ લોકો અન્ય જાતિ તરીકે નોંધાયેલા છે તેઓ બધા ચૂંટણીમાં ઉમંગ, ઉત્સાહ અને ગર્વભેર મતદાન કરવા અચૂક જાય છે. આમાંથી ઘણાંય એવા લોકો છે, જેઓ છેલ્લાં 35 થી 40 વર્ષમાં એક પણ ચૂંટણીમાં મતદાન કરવાનું ચૂક્યા નથી. તેઓએ દરેક ચૂંટણીમાં મત આપ્યો છે, કેમકે તેઓ મતની તાકાત સમજે છે. મત આપીને તેમને આત્મસંતોષ થાય છે.
અન્ય એક કિન્નર શિલ્પા દે કહે છે કે, ચૂંટણી એક હરખનો અવસર છે. બંધારણે કિન્નર સમાજને હક્કથી જીવવાનો અધિકાર આપ્યો છે. મત આપવાનો અને મનપસંદ નેતા અને સરકાર ચૂંટવાનો આપણને હક્ક છે ત્યારે મતદાન અચૂકથી કરીને આ અવસરમાં સહભાગી બનવું જોઇએ. અમારા કિન્નર સમુદાયના લોકો એકસાથે ભેગા મળીને વોટ કરવા જશે. વધુમાં તેઓ સમાજના દરેક વર્ગ, સમુદાય, યુવા, પુરુષ , સ્ત્રી અને દિવ્યાંગ મતદારોને પણ જરૂરથી મતદાન કરવા માટેની અપીલ કરે છે.