ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અંતિમ દિવસોમાં દિગ્ગજ નેતાઓનો પ્રચાર ચાલી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમણે કાલે ડેડીયાપાડા અને અમદાવાદમાં સભા સંબોધી હતી તો આજે સવારે પ્રદેશ કાર્યાલયે પ્રેસ કોન્ફરન્સ અને બપોરે મહેસાણામાં જાહેર સભાને સંબોધી હતી. મલ્લિકાર્જુન ખડગે ભાજપ અને વડાપ્રધાનના ગુજરાતમાં પ્રચારના અતિક્રમણને આધાર બનાવી ગુજરાતમાં ભાજપ માટે સ્થિતિ સારી ના હોવાનો દાવો કરી રહ્યા છે.
ગુજરાત પ્રચાર અર્થે આવેલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત મોડલને નિષ્ફળ ગણાવ્યું. 27 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ કંઈ કામ ના કર્યું હોવાથી લોકો ત્રસ્ત છે અને એના જ કારણે ગુજરાતીઓ કોંગ્રેસ તરફી નિર્ણય લેવા જઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો. સાથે જણાવ્યું કે સત્તા જઈ રહી હોવાનું લાગતા વડાપ્રધાન થી લઈ જ્યાં જ્યાં ભાજપ સરકાર છે ત્યાંના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં તંબુ તાણીને બેઠા છે. મોદીજી પોતાના નામ પર ગુજરાતમાં મત માગી રહ્યા છે. શું મોદીજી ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી બનવા માંગે છે! મોદીજી ગુજરાત તેમણે બનાવ્યું તેવો પ્રચાર કરી રહ્યા છે તો શું અન્ય મુખ્યમંત્રીઓએ ગુજરાતમાં કંઈ કામ નથી કર્યું? દેશને બનાવવા માટે કોંગ્રેસે કામ કર્યું છે અને એનું ફળ મોદીજી તેમજ ભાજપ ભોગવી રહ્યું છે. દેશ માટે સંઘર્ષ અને ફાંસીએ ચડવાનું કામ કોંગ્રેસના નેતાઓએ કર્યું.
મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત મોડલને નિષ્ફળ ગણાવતા જણાવ્યું કે રાજ્યમાં સરકારી નોકરીઓમાં પાંચ લાખ વેકેન્સી છે. 48 લાખ શિક્ષકોની ભરતી કરવાની બાકી છે. આ સિવાય રાજ્યની તિજોરી પર સતત કર બોજ વધી રહ્યો છે. કોંગ્રેસની સરકારમાં 10,000 કરોડનું દેવું ગુજરાત પર હતું, જ્યારે હાલની સ્થિતિએ ગુજરાત પર 4.7 લાખ કરોડનું દેવું થવા જઈ રહ્યું છે. કોવિડ મહામારીમાં પણ ગુજરાતમાં ત્રણ લાખથી વધારે લોકોના મૃત્યુ થયા હતા અને કોવિડમાં નિષ્ફળતાને કારણે મુખ્યમંત્રી પણ બદલવા પડ્યા. જો ગુજરાતમાં બધું જ યોગ્ય હોત તો ભાજપે છેલ્લા છ વર્ષમાં ત્રણ મુખ્યમંત્રી ના બદલવા પડ્યા હોત. વારંવાર મુખ્યમંત્રી બદલવા જ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા છે.
ભાજપ સામે કોંગ્રેસનો પ્રચાર ફિક્કો ચાલી રહ્યો છે ત્યારે ખડગે એ દાવો કર્યો છે કે ભાજપની જેમ ખોટા ભપકા નહીં પરંતુ બુથ લેવલે અમે કામ કરી રહ્યા છીએ.. કોંગ્રેસનો મતદાતા પણ આ વખતે શાંત છે.. અદ્રશ્ય વોટર થી કોંગ્રેસની જીત નિશ્ચિત છે.
Published On - 5:24 pm, Mon, 28 November 22