ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. 19 જિલ્લામાં લાખો નવા મતદારો ઉમેરાયા હોવા છતાં ઓછું મતદાન થયુ છે. એક તરફ પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે. આમ છતા રાજકીય પક્ષોમાં પક્ષ પલટાની મોસમ હજુ પણ યથાવત જોવા મળી રહી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી કમલેશ ત્રિવેદીએ કેસરિયા કર્યા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીને ગાંધીનગર જિલ્લામાં મોટો ફટકો પડી શકે છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રીજા પક્ષ એટલે કે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યુ છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે તમામ બેઠક પર લડવાનો નિર્ણય લીધો હતો. જો કે વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દહેગામ તાલુકાના AAPના સંગઠન મંત્રી કમલેશ ત્રિવેદી ભાજપમાં જોડાયા છે. AAPથી નારાજ પિતા-પુત્રએ સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપ ઉમેદવાર બલરાજસિંહની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે. PMની રાષ્ટ્રહીતની વિચારધારાને સ્વીકારી તેઓ ભાજપમાં જોડાયા હોવાનું નિવેદન આપ્યુ છે.
મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો મળી ગયો હતો. સુરત બાદ અબડાસાના ઉમેદવારે આમ આદમી પાર્ટી છોડી હતી. અબડાસાના AAPના ઉમેદવાર વસંત ખેતાણીએ ભાજપને ટેકો જાહેર કર્યો હતો. પાટીદાર આગેવાનોની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાયા બાદ વસંત ખેતાણીએ ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિહ જાડેજાને પણ ટેકો જાહેર કર્યો હતો. અબડાસા બેઠક પર આમ આદમી પાર્ટીને મોટું નુકસાન થવાની શક્યતા છે.
આ પહેલા સુરત પૂર્વના આપના ઉમેદવાર કંચન જરીવાલા બાદ તેના ડમીએ પણ ફોર્મ પરત ખેંચ્યું હતુ. કંચન જરીવાલાના ડમી સલીમ મુલતાની પાસે ચૂંટણી પંચના નિયમ મુજબ મેન્ડેટ ન હોવાથી તેઓ આપના બેનર હેઠળ ચૂંટણી ન લડી શકે. આમ સુરત પૂર્વ બેઠક અને અબડાસા બેઠક પર AAP ચૂંટણી ન લડી શક્યુ.
Published On - 12:15 pm, Fri, 2 December 22